ભાવનગર-

આજે સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ ૩૬૪ નોંધાયા અને તેની સામે ૩૨૭ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આજે શહેરમાં ૨ અને તાલુકા-ગ્રામ્યમાં એક દર્દીનું મોત સરકારી ચોપડે કોરોનાથી થયું હતુ. ત્યારે ભાવનગરમા શહેર કરતા ગામડાઓમાં કોરોનાના કેસ વધુ છે. ભાવનગર જિલ્લાના વધુ ૭ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા સંપૂર્ણ પ્રતિબંધિત કરાયા છે.

ભાવનગરના ૭ ગામડાઓમાં ૨૪ મે સુધી તમામ પ્રકારના અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં ઘોઘા, તગડી, તણસા, ભંડારીયા, પીથલપુર, જસપરા, અને ભુંભલી ગામને પ્રતિબંધિત જાહેર કરાયા છે. આ ગામોમાં વસ્તીના પ્રમાણમાં કોરોનાનું સંક્રમણ ૧૮ થી ૬૬ ટકા સુધી ફેલાયું છે. તેથી આ ર્નિણય લેવાયો છે. ગામમાં ઇમરજન્સી અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રહેશે. જેથી માત્ર ઈમરજન્સી સેવાઓ જ લાવવા લઈ જવામાં આવશે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસની સામે સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તેથી હવે ગામડાઓ સ્વૈચ્છિક બંધ તરફ વળી રહ્યાં છે.