રાજકોટ-

કોટડા સાંગાણીના રામોદના ઉપસરપંચ મનસુખભાઇ ગજેરાને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ સસ્પેન્ડ કર્યા છે. મનસુખભાઇ ગજેરા દ્વારા ગ્રામ પંચાયતના રેકોર્ડમાં છેડછાડ કરવી તેમજ ઉપસરપંચ દ્વારા ગ્રામ પંચાયતના અધ્યક્ષસ્થાને મીટીંગ લીધી હતી. જેમાં વિકાસના કામો અટકાવવા સહિતના મુદ્દે રામોદના સરપંચ દ્રારા ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને ટીડીઓ પાસેથી તપાસ કરાવી જવાબ માંગવામાં આવ્યો હતો.

જે તપાસમાં ફલિત થયું હતું કે, રામોદ ગ્રામ પંચાયતમાં સરપંચ રજા પર ન હોવા છતાં ઉપસરપંચની સહીથી તા.૧૭ નવેમ્બર ૨૦૧૮ અને ૨૮ ડીસેમ્બર ૨૦૧૮ના રોજના પંચાયતની સભાની એજન્ડા બહાર પાડવામાં આવી હતી. તેમજ તેમના દ્રારા તલાટીને મંજૂર થયેલા કામો અટકાવી દેવા રજૂઆત કરવામાં આવી હતી. આથી ઉપસરપંચને દૂર કરવામાં આવ્યા હતા.