ભુજ-

કોરોના વાઇરસ અટકાવવા માટે જનજાગૃતિ અને પ્રચાર પ્રસારના પગલે ભચાઉ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના નાથવાના પ્રયાસોથી હાલ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા દસ દિવસોથી ભચાઉ તાલુકો કોરોના મુકત જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર અને નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19 ની માર્ગદર્શિકા અનુરુપ આ કામગીરી સાથે સંકળાએલા આરોગ્ય, સેવા કે પ્રચાર પ્રસાર કર્મીઓ જ નહીં, પરંતુ કોવિડ ગાઈડ લાઈનને અનુરુપ જીવનશૈલી અમલી બનાવનારા સૌ આ માટે યશના ભાગીદાર છે તેવી લાગણી વ્યકત કરીને આરોગ્ય વિભાગે હજુ પણ સાવચેતી અને જાગૃતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે.ભચાઉ તાલુકાના કોરોનાના અંતિમ દસ દિવસનો રિપોર્ટ બતાવે છે કે, આયોજનબદ્ધ અડગ નિર્ધારથી કરેલા કાર્ય અને તેમાં આપેલા સહયોગથી અચુકપણે કોરોના હારશે ગુજરાત જીતશે સાર્થક કરી શકાશે. જરૂર છે ફકત આયોજનબધ્ધ કામગીરી અને તેનું ફોલોઅપ જેમ ભચાઉ તાલુકાની આરોગ્ય ટીમે કરી બતાવ્યુ છે.કોરોના અટકાયત માટે આરોગ્ય ટીમ ભચાઉમાં મેડિકલ ઓફિસર 7, આયુષ મેડિકલ ઓફીસર 3, આર.બી.એસ.કે.મેડિકલ ઓફિસર 8, સુપરવાઈઝર 12, સી.એચ.ઓ 10, ફાર્માસીસ્ટ 7, લેબ ટેક 8, આરોગ્ય કર્મચારી સ્ત્રી 54 , પુરુષ 42 અને આશા 151 બહેનો સઘન કામગીરી કરી રહ્યા છે. તેઓ દ્વારા લોકોને કોરોના અટકાયતી પગલાઓ જેવા કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવુ અને હાથ ધોતા રહેવાની સલાહ અપાય છે અને તેનું સમયાંતરે ફોલોઅપ પણ કરાઇ રહ્યું છે.