અમદાવાદ-

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં ૩૦ એપ્રિલના રોજ નાના આંતરડામાં જટીલ તકલીફથી પીડાતી નવજાત શિશુને દાખલ કરવામાં આવી. મૂળે મહેમદાબાદની આ દિકરીના નાના આંતરડામાં બે ટૂકડા થયેલ હોવાના કારણે સ્તનપાનમાં તકલીફ પડી રહી હતી. બાળકીની માતા આ તકલીફ જોતા બાળકી જીવંત રહેશે તે આશા છોડી ચૂકી હતી. વળી જન્મના ૪૨ માં કલાકે કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. જન્મના ૧૭માં દિવસે પાઇપ વડે ધાવણ આપવામાં આવ્યું . જન્મના ૨૩માં દિવસે બાળકીની માતાએ નાના બાળકીને ખોળામાં લઇ પ્રથમ વખત સ્તનપાન કરાવ્યું.

મહેમદાબાદના જાવેદભાઇ કુરેશીના ઘરે બાળકીનો જન્મ થયો. ૩૦ મી એપ્રેલના રોજ જન્મેલી બાળકીનલનું ૨.૫ કિ.ગ્રા વજન ધરાવતી આ શ્રમિક પરીવારની બાળકી સ્તનપાન કરી શકે તેમ ન હતી. જેના કારણે બાળકીનું પેટ ફૂલવા લાગ્યું. ત્યારબાદ તેને ઉલટી થવાનું શરૂ થયુ. જે કારણોસર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવી પડી. અહીં આવ્યા ત્યારે વિવિધ રીપોર્ટ અને સોનોગ્રાફી કરાવ્યા બાદ બાળકીને આંતરડામાં રૂકાવટ હોવાનું નિદાન થયુ. જે કારણોસર જ બાળકી ધાવણ લઇ શકવા સક્ષમ ન હતી.

જેની સારવાર માટે સર્જરી કરવી આવશ્યક બની રહી હતી. સર્જરી પૂર્વે બાળકીનો કોરોનાનો રીપોર્ટ કરાવવામાં આવતા તે પણ પોઝીટીવ આવ્યો. હવે બાળકીની સર્જરીમાં જટીલતા વધી ગઇ.હવે કોરોનાગ્રસ્ત નવજાત શીશુંની સર્જરી કરવી આવશ્યક બની રહી હતી.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ આ પડકાર ઝીલીને જોખમ લઇ સર્જરી કરવાનું નક્કી કર્યું. સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે બાળકીના નાના આંતરડા પૂર્ણ રૂપે વિકાસ થયો હતો નહી. જે કારણોસર બાળકીને ધાવણમાં તકલીફ પડી રહી હતી.જે માટે આંતરડાના ખરાબ ભાગને સર્જરી દરમિયાન કાઢી નાંખવામાં આવ્યુ.બાકી બચેલા સારા ભાગને આંતરડાના અન્ય ભાગ સાથે જોડવામાં આવ્યું,

સમગ્ર સર્જરી ૨ થી ૩ કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.સામાન્ય સંજોગોમાં પણ બાળકોની સર્જરીની જટીલતા અને સંવેદનશીલતા વધુ રહેતી હોય છે ત્યારે પી.પી.ઇ. કીટ પહેરીને 3 કલાક બાળકીની સર્જરી હાથ ધરવી તે પડકારજનક બની રહી હતી.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એશોશિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એન્સથેટિક વિભાગ એસોશીએટ પ્રોફેસર ડૉ. મૃણાલીની શાહની ટીમના સહયોગથી અત્યંત જટીલ કહી શકાય તેવી આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં પાડી. સર્જરી બાદ પોસ્ટ ઓપરેટીવ કેર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં બાળકીને નવજાત શિશું કેર માટે દાખલ કરવામાં આવી. આ દરમિયાન બાળકીને સેપ્સીસ( બ્લડમાં ઇન્ફેકશન ફેલાવું)ના કારણે વજન પણ ઘટવા લાગ્યુ. આ તમામ પરિસ્થિતને નિયંત્રણમાં લેવા અને દિકરીને મોતના મુખમાંથી ઉગારવા બાળ રોગ તબીબ ડૉ. ચારૂલ મહેતા અને તેમની ટીમ દ્વારા ભારે ઇન્જેકશન અને સપોર્ટીવ સારવાર આપવામાં આવી. . આખરે ૩૫ દિવસની સતત અને સધન સારવારના અંતે દિવસે સાજી થઇને ઘરે પરત ફરી.

અત્રે નોંધનીય બાબત એ છે કે, બાળકને જન્મના ૧૭ માં દિવસે પાઇપ વાટે ધાવણ આપવામાં આવ્યુ. અને જન્મના ૨૩ માં દિવસે માતાનું પ્રથમ વખત ધાવણ નસીબે થયુ.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ઇલીયલ અટ્રેસીયા નામની બિમારી ૧૦ હજાર નવજાત બાળકોમાંથી ૨ બાળકોમાં જોવા મળે છે. જેની સર્જરી અતિ જટીલ બની રહે છે.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં અત્યંત જૂજ જોવા મળતી ઘણી સર્જરી હાથ ધરવામાં આવી છે.