દિલ્હી-

હાલ મોદી સરકારના કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે અને છેલ્લા 9 દિવસથી ખેડૂતોએ દિલ્હી વિરોધ પ્રદર્શન માટે દિલ્હીને ઘેરી વળ્યા છે સરકાર વાટાઘાટોથી આ સમસ્યાનું સમાધાન લાવવા મરણિયા બનીને પ્રયાસો આદર્યા છે ત્યારે કર્ણાટકના કૃષિ મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપતા ખેડૂતોમાં રોષ જાેવા મળી રહ્યો છે.

કર્ણાટકના કૃષિ મંત્રી બી. સી. પાટિલે બફાટ કર્યો હતો અને કહ્યું હતુ કે, આપઘાત કરનારા ખેડૂતો બીકણ છે. તેમના આ નિવેદનથી ભારે વિવાદ થયો છે. દેશમાં હાલ કૃષિ સુધારાના વિરોધમાં હજારો ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેમની સાથે મંત્રણા કરી રહી છે તેવા સમયે જ ખેડૂતો માટે એલફેલ ઉચ્ચારણોથી ભાજપ પક્ષના નેતાઓ પણ ક્ષોભજનક હાલતમાં મૂકાયા છે.

બી. સી. પાટિલે કહ્યું હતું કે આપઘાત કરનારા ખેડૂતો બીકણ છે. ડરપોક લોકો જ પોતાની પત્ની અને બાળકોની ચિંતા કર્યા વિના આપઘાત કરે છે. આપણે પાણીમાં ડૂબતા હોઇએ તો આપણે તરીને બહાર નીકળવું જાેઇએ એમ તેમણે કર્ણાટકના કોડાગુ જિલ્લીના પોન્નામપેટમાં ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું. પાટિલ ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે ખેતી કેટલો નફાકારક વ્યવસાય છે. આમ છતાં પપણ કેટલાક બીકણ લોકો તે સમજી શકતા નથી અને આપઘાત કરી બેસે છે એમ તેમણે કહ્યું હતું.