નવી દિલ્હી

આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે સતત ત્રણ પરાજય બાદ જીતનું ખાતુ ખોલ્યું છે. પરંતુ હવે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે સ્ટાર ફાસ્ટ બોલર ટી નટરાજન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.હકીકતમાં ફાસ્ટ બોલર ટી નટરાજનને ઘુંટણમાં ઈજા થઈ છે. જે કારણે તે હવે ટૂર્નામેન્ટની બાકી મેચ રમી શકશે નહીં. ઈજાને કારણે તેને સલાહ આપવામાં આવી છે કે તે હવે બાકીની મેચ રમે નહીં. મહત્વનું છે કે નટરાજને આ સિઝનમાં માત્ર બે મેચ રમી છે. તે કોલક્તા અને બેંગલોર સામે મેદાનમાં ઉતર્યો હતો. બાકી બે મેચમાં તેના સ્થાને ખલીલ અહમદને અંતિમ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. મહત્વનું છે કે હૈદરાબાદની ટીમે હજુ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. પરંતુ ટીમ પાસે રિપ્લેસમેન્ટનો વિકલ્પ હાજર છે. 

બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું કે તેને આઈપીએલથી સીધુ બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી જવાનું કહેવામાં આવી શકે છે. એનસીએના ફીઝિયો નટરાજનની ફિટનેસની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેણે બીસીસીઆઈને ઈજા વિશે જાણકારી આપી છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઇઝી તેને રિલીઝ કરી શકે છે.