સુરત-

સુરત પોલીસે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલવારીમાં આવેલા નવા કાયદા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયન એક્ટ -ય્ઝ્ર્‌ર્ંઝ્ર(ગુજસીટોક) હેઠળ સુરત શહેરની કુખ્યાત લાલુ ઝાલિમ ગેંગ સામે ગુનો નોંધ્યો છે. જેમાં તેના ૩ સાગરીતને ઝડપી પાડવામાં આવ્યા છે. લાલુ ઝાલિમ ગેંગ સામે કુલ ૯૪ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. લાલુ ઝાલિમ ગેંગમાં ૧૧ સભ્યો સાથેની આ ગેગંનો મુખ્ય સુત્રધાર અમિત ઉર્ફે લાલુ ઝાલીમ છે. ગેંગ દ્વારા અમરોલી, કતારગામ, ડીસીબી, ઓલપાડ, સચિન, મહિધરપુરા, ચોક બજારમાં નેટવર્ક ઉભું કરી ૯૪ જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગ સામે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી પોલીસ કમિશનરને આપ્યો હતો.

ત્યારબાદ સુરતનો જીસીટીઓસી અતંર્ગત બીજાે કેસ લાલુ ઝાલિમ ગેંગ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. જેમાં શિવમ, નિલેશ, જગદીશની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરાયા છે. લાલુ ઝાલિમ ગેંગના મુખ્ય સુત્રધાર લાલુ ઝાલિમ હાલમાં હત્યાના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. લાલુ ઝાલિમ ત્રણ વખત પાસા અને એક વખત તડીપાર થયો છે. નીલેશ એક વખત પાસા અને એક વખત તડીપાર થયો છે. જગદીશ એક વખત તડીપાર, આશિષ પાંડે ત્રણ વખત પાસા કાપી ચુક્યો છે. નિકુંજ ચૌહાણ બે વખત પાસા અને રવિ ઉર્ફે ધાનુ અને નયન બારોટ એક-એક વખત તડીપાર થયા છે.

પોલીસ કમિશનર અજય તોમરે ચાર્જ સંભાળ્યા બાદ ક્રાઈમ ફ્રી સુરતના ઉદ્દેશ્ય સાથે શહેરમાં જુદી જુદી ગેંગ દ્વારા વધી રહેલા ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમને નેસ્તનાબૂદ કરવા સૂચના આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, સુરતમાં અન્ય કોઈ ગેંગ ફરીથી સક્રિય ન થાય અને સમાજમાં એક દાખલો બેસે તે રીતે ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા આસિફ ટામેટા ગેંગ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગેંગના સભ્યોઃ અમિત ઉર્ફે લાલુ ઝાલીમ, દિપક જ્યસ્વાલ, શૈલેન્દ શર્મા, શિવમ રાજપૂત, નિલેશ અવચિત્તે, જગદીશ કટારીયા, આશિષ પાંડે, નિકુંજ ચૌહાણ,રવિ સીંદે, નયન બારોટ, અવનેશ રાજપૂત.