સુરત,

શહેરના વરાછા વિસ્તારમાં ભાજપના નેતા પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગઈ કાલે રાત્રે ભાજપના નેતા કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસીયાને અજાણ્યા શખ્સે ગોળી મારી દીધી હતી. ભરત વઘાસીયાને પીઠના ભાગે ગોળી વાગતાં રાત્રે જ ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી હતી.

ભરત મોના વરાછા વિસ્તારમાં આવેલા ડાહ્યા પાર્ક સ્થિત ઓફિસથી ઘરે જઈ રહ્યા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. લગભગ રાતે 8.40 વાગે વરાછાની વર્ષા સોસાયટી વિભાગ-1ના વાડીવાળા રોડ પર આ ઘટના બની હતી. બાઈકની પાછળ બેઠેલ વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. તેમજ તેણે કોફી કલરનો શર્ટ પહેર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 

આ અંગે વરાછા પોલીસે કારતૂસ કબ્જે કરી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જોકે, આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી છે.