સુરત-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના ધોરણ 9ના વિદ્યાર્થી પાર્થ ગાંધીની પ્રશંસા કરતો પત્ર મોકલ્યો છે. સુરતના આ બાળકે પીએમ મોદીનો સ્કેચ બનાવી તેમને મોકલાવ્યો હતો. જેની વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી છે. પાર્થના પિતા મેહુલ ગાંધી સુરતમાં લુમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ પત્રમાં વડાપ્રધાને પાર્થને પ્રોત્સાહન આપતા લખ્યું છે કે, ''તમારી પ્રતિભા તમારામાં વસ્તુઓનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરવાની ક્ષમતા દર્શાવે છે, તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓ મૂકવાની અદભૂત ક્ષમતા છે. નાની ઉંમરથી જ તમારામાં સ્કેચિંગની ઝીણવટપૂર્ણ સમજ હોવી તે વખાણવા યોગ્ય છે.'' પત્રમાં પાર્થના ઉજ્જવળ ભાવિની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ લખ્યું, ''મને વિશ્વાસ છે કે, અનુભવ અને સતત અભ્યાસથી તમારી પ્રતિભા વધુ નિખરશે અને તમે ભવિષ્યમાં સફળતાની નવી ઉંચાઈએ પહોંચશો.'' સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા ગાંધી પરિવારના પુત્ર પાર્થે લોકડાઉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્કેચ બનાવ્યો હતો. જે તેણે વડાપ્રધાનને મોકલતા પીએમ મોદીએ તેના જવાબમાં પત્ર લખી પાર્થની આ પ્રતિભાની સરાહના કરી હતી અને તેને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી.