સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ થઇ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઇ છે અને નાશીપાસ થ‌ઈ આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે, બીજીબાજુ સરકારની ખેડૂતો બાબતે ઉદાસીનતા ગંભીર પરીણામ તરફ ખેડૂતોને દોરી જાય છે. ત્યારે આજે રાજ્યમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાનો સમાચાર સામે આવ્યા છે. 

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામે બીજા એક ખેડૂતે આપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 25 વર્ષિય જવાનજોધ ખેડૂતે 10 વિઘાનો પાક નિષ્ફળ જતા ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. સાયલા તાલુકાના ઢેઢુકી ગામના રહેવાસી 25 વર્ષિય ચંદુભાઈ હેમંતભાઈ ખમાણીએ 10 વિઘા જમીનમાં તલના પાકનું વાવેતર કર્યું હતું, જોકે, સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખુબ વધારે વરસાદ થવાથી પાક નિષ્ફળ ગયો, આ ખેડૂતે જેમ-તેમ પૈસા ભેગા કરી જમીનમાં વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ જતા આર્થિક સંકડામણમાં આવી ગયો, અને ખેતરમાં તઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. 

મહત્વની વાત એ છે કે, માત્ર ચાર દિવસમાં સાયલા તાલુકાના ઢેઢુકી ગામમાં જ આ બીજા ખેડૂતે આપઘાત કરી લીધો છે. એક જ ગામના બે ખેડૂતએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, અને તંત્ર પણ હચમચી ગયું છે. આ સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારે જવાનજોધ દીકરો ગુમાવી દેતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે.