અમદાવાદ-

અમદાવાદમાં મહિલાએ રૂપિયાની લાલચમાં પતિને મૃત જાહેર કરીને તેનું ડેથ સર્ટી કઢાવી લીધું અને બાદમાં ઈન્સ્યોરન્સના રૂપિયા ક્લેમ કરી લીધા હતાં. પતિને આ વાતની જાણ થતાં તેણે પત્નીને સવાલ કર્યો તો પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મુક્યો હતો. હાલમાં આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નિશા બહેને ( નામ બદલ્યું છે) અને રાજીવભાઈ પોતાની દિકરીના લગ્ન બાદ ભાડે મકાન રાખીને એકલા રહેતા હતાં. આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તેઓ અથાગ મહેનત કરીને ગુજરાન ચલાવતાં હતાં. એક દિવસ નિશા બહેને રાજીવભાઈને કહ્યું હતું કે, આપણી આર્થિક સ્થિતિ સારી નથી અને મકાનનું ભાડુ પણ પોસાય તેમ નથી. જેથી તમે થોડા સમય માટે વતનમાં જતા રહો અને હું આપણી દિકરીના ત્યાં જઈને રહીશ.

પત્નીની વાત માનીને રાજીવભાઈ પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હતાં. ત્રણેક મહિના બાદ તેઓ અમદાવાદ પરત આવ્યા અને તેમની દિકરીના ઘરે ગયા તો તેમની પત્ની ત્યાં નહોતા. તેમણે તપાસ કરી અને પત્નીનું એક સરનામું જાણવા મળ્યું હતું. ત્યાં જઈને રાજીવભાઈ પત્નીને મળ્યા તો પત્નીએ તેમને ઘરમાંથી કાઢી મુક્યા હતાં. જેથી તેઓ ત્યાંથી નિકળીને રસ્તા પર ભટકતા હતાં. ત્યારે તેમને જાણવા મળ્યું કે, તેમની પત્નીએ તેમના વર્ષો પહેલા લીધેલા ઈન્સ્યોરન્સના નાણાં મેળવી લીધા છે. ખરાઈ કરવા રાજીવભાઈ જન્મ મરણ વિભાગમાં ગયા જ્યાં તેમના નામનું મરણ સર્ટી ઇસ્યુ થઈ ગયું હતું. આ અંગે તેમણે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ આ સમગ્ર કૌભાંડ શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.