દિલ્હી-

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીના ડોક્ટરો તથા અન્ય આરોગ્યકર્મીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વિચારવિમર્શ કરતી વખતે જણાવ્યું કે કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેરનો વારાણસીના આરોગ્યકર્મીઓ તથા જનતાએ જે રીતે સામનો કર્યો છે એ પ્રશંસનીય છે. કોવિડ-19ને કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના વિશે બોલતાં મોદી ભાવુક થઈ ગયા હતા.

પરંતુ મોદીએ નવી ત્રાટકેલી બીમારી બ્લેક ફંગસ કે મ્યૂકોરમાઈકોસીસ સામે ચેતવણી ઉચ્ચારી હતી. એમણે કહ્યું કે, કોવિડ-19 સામેના આપણા હાલ ચાલી રહેલા જંગમાં બ્લેક ફંગસે એક નવો પડકાર ઊભો કર્યો છે. આપણે આ બીમારીનો સામનો કરવામાં સાવચેતી તેમજ સજ્જતા રાખવા પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જ પડશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં આપણે અનેક મોરચે એક સાથે લડવાનું છે. આ વખતે સંક્રમણ દર પણ પહેલાથી ઘણું વધુ છે. દર્દીઓને વધુ દિવસો માટે હોસ્પિટલમાં રહેવું પડી શકે છે. તેનાથી આપણા સ્વાસ્થ્ય સિસ્ટમ પર દબાણ વધશે. પીએમ મોદીએ વારાણસીના ડોક્ટરો સાથે વાત કરતા કહ્યું કે વારાણસીમાં કોવિડ કંટ્રોલ કરવામાં સફળતા મળી છે પરંતુ હજુ ફોકસ વારાણસી અને પૂર્વાંચલના ગામોને બચાવવા પ હોવું જરૂરી છે. પીએમ મોદીએ આ દરમ્યાન એક નવો મંત્ર પણ આપતા કહ્યું કે હવે આપણે જ્યાં દર્દી ત્યાં જ સારવારના મંત્રને અનુસરવું પડશે.