લુણાવાડા, તા.૩૦ 

લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને લુણાવાડા તાલુકાના શિક્ષકોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દે શિક્ષક સમાજમાં ભારોભાર રોષ પામ્યો છે, શિક્ષક ગણ હતાશ તથા નિરાશ થયો છે. ૨૦૧૦ પછીના ભરતી થયેલા શિક્ષકના કોઈ પણ હુકમમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલ નથી તો આમ છતાં અચાનક આ પ્રકારની પરિસ્થિતીનું નિર્માણ કરવાથી શિક્ષક લાચારી અનુભવે છે. શિક્ષકોએ આવેદનના માધ્યમથી વિનંતી કરી છે કે જિલ્લા શિક્ષક સંઘ તેમજ રાજ્ય શિક્ષક સંઘ સાથે ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દા પર રાજ્ય શિક્ષક સંઘ શું કરવા માંગે છે? સોશિયલ મીડિયા પર જે ચર્ચા થાય છે કે રાજ્ય શિક્ષક સંઘ ના હોદ્દેદારો દ્વારા બીટ કેળવણી નિરીક્ષક ના પ્રમોશન ન લેવાની સંમતિ આપી છે તેના કારણે આ પ્રશ્ન ઉદભવ્યો છે તો શું તે બાબતે સત્ય શું છે? રાજ્ય શિક્ષક સંઘ ની ટર્મ તારીખ ૧૮/૦૨/૨૦૨૦ ના રોજ પૂરી થઈ ગયેલ છે તો પદાધિકારી,અધિકારી તેઓની વાત સાંભળશે ખરા? આ તમામ મુદ્દાઓ પર પરામર્શ થાય તથા યોગ્ય ઉકેલ તરફ આગળ વધવા આહવાન કરવામાં આવે જેથી સંગઠન પ્રતિ શંકા કુશંકા પેદા ના થાય. રાજ્ય શિક્ષક સંઘ ના હોદ્દેદારો શિક્ષક પરિવારને કોઈ પણ પ્રકારની દ્વિઘા રાખ્યા વગર ખુલ્લા મને ચર્ચા કરવાની માંગ કરી છે.