નડિયાદ : સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં માગશર વદ એકાદશીના દિવસે સ્વામિનારાયણ મહામંત્રનો 219મો પ્રાગટ્ય મહોત્સવ વડતાલ લક્ષ્મીનારાયણદેવ પિઠાધિપતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શનિવારના રોજ વડતાલધામમાં 219મો મંત્ર પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે જણાવ્યું હતું કે, વડતાલ ધામનો મહિમા અપાર છે. આ સૃષ્ટિ ભગવાનને આધીન છે. સૃષ્ટિ નિયંતા પરમાત્મામ મંત્રને આધિન છે. એટલે કે કોઇ ભક્ત શ્રદ્ધાને વિશ્વાસ સાથે મંત્ર અનુષ્ઠાન કરે છે તે ઇચ્છીત સિદ્ધી પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક જગતની સૌથી મોટી તાકાત મંત્ર છે. મંત્ર જપથી અંતરના દોષ પણ નાશ પામે છે.’  

આ પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતો - મહંતો સહિત હરિભક્તો ઉપસ્થિત રહીને મહામંત્રનો કેસર જળથી અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે મંદિરના આસિસ્ટન્ટ કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરના પ્રાંગણમાં ઉચ્ચપીઠ પર ષડક્ષરી મંત્ર સ્વરૂપ પરમાત્માનું વિધિવત પૂજન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લાં પાંચ વર્ષમાં વડતાલ સંસ્થાના માધ્યમે લખાયેલાં 26 કરોડ મંત્રોની પોથીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં શા. ધર્મપ્રસાદ સ્વામી, નૌત્તમપ્રકાશદાસજી સ્વામી, બાલકૃષ્ણ સ્વામી, ગોવિંદ સ્વામી વિગેરે સંતો જોડાયાં હતાં. મંદિરના પુરોહિત ધીરેન ભટ્ટે પૂજાવિધિ સાથે અભિષેક કરાવ્યો હતો.

5 વર્ષમાં 2860 ભક્તો દ્વારા 2.5 કરોડ ઓનલાઇન અને 26 કરોડ મંત્ર પોથીમાં મંત્ર લેખન થયું

વડતાલ મંદિરમાં 7મી ઓક્ટોબર,2006ના રોજ શરૂ થયેલી અખંડધૂનને 14 વર્ષ 3 માસ અને 2 દિવસ થયાં છે. એટલે કે 1.25 લાખ કલાકથી દિન રાત અખંડ ધૂન ચાલે છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી 2860 ભક્તો દ્વારા ઓનલાઇન 2.55 કરોડ મંત્ર લેખન અને મંત્રપોથીમાં 26.6 કરોડ મંત્ર લેખન થયું છે.