ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની બીમારીમાં ઉપયોગી એવા રેમડેસિવિર ઈંજેકશનના કાળા બજાર થઈ રહ્યા છે. ત્યારે હવે કોરોનાથી ખતરનાક એવા મ્યુકરમાઈક્રોસિસ નામના રોગમાં ઉપયોગી એવા એમ્ફોટેરિસીન-બી ઈંજેકશન આઇપી-૫૦ એમજીના પણ રાજયમાં કાળા બજાર શરૂ થઈ ગયા છે. આ અંગેની માહિતી મળતાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ ખાતે હોટલ ટીજીબી ની ગલીમાંથી આ એમ્ફોટેરિસીન-બી ઈંજેકશનના કાળાબજાર કરતાં શખ્સને બે ઈંજેકશન સાથે ઝાડી લેવામાં આવ્યો છે.

આ અંગે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે, કોરોના મહામારીમા મ્યુકરમાઈક્રોસિસની સારવાર માટે એમ્ફોટેરિસીન-બી ઈંજેકશન આઇપી ૫૦ એમજીનો અતિ આવશ્યક દવા તરીકે ઉપયોગ થાય છે. આવા ઇન્જેક્શનની અમદાવાદ ખાતે હોટલ ટી.જી.બી. ની ગલીમાં એક વ્યક્તિ કાળાબજારી કરતો હોવાની માહિતી મળી હતી. જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ઉક્ત સ્થળે રેઈડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ઇન્જેક્શનની કાળાબજારી કરતા સંકેત પટેલ નામના શખ્સને બે એમ્ફોટેરિસીન-બી ઈંજેકશન આઇપી-૫૦ એમજી અને રૂ.૧૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ કાળા બજાર કરતાં શખ્સને ઝડપી લઈને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોશિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, આ ઈંજેકશન ઉપર કોઇપણ પ્રકારની વિગતો જેમ કે, દવાના ઉત્પાદક્નું નામ, લાયસન્સ નંબર વિગેરે જેવી વિગતો દર્શાવેલ ન હતી. આથી આ દવા બનાવટી હોવાની પૂરેપુરી શક્યતા જણાઈ રહી છે. આ દવાના નમૂનાને ખોરાક અને ઔષધ પ્રયોગશાળા ખાતે ચકાસણી માટે મોકલી આપવાની કાર્યવાહી ચાલુ છે. કોશિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, આરોપી આ ઇંજેક્શન ક્યાંથી અને કોની પાસે મેળવ્યા તે અંગે અધિકારીઓએ સઘન પુછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, અમદાવાદની હોટલ ટી.જી.બી.ની ગલીમાં આવેલ ગ્લોબલ મેડિકલ સ્ટોરના સંચાલક પવન પટેલના મેળાપીપળામાં આ ઈંજેકશનનું ખરીદ વેચાણ થયુ હતું. આ ઈંજેકશન તેણે અડાલજના અટલ આવાસ યોજનામાં રહેતા તેઓના રૂમ પાર્ટનર જિગ્નેશ ચૌહાણ નામના શખ્સ પાસેથી મેળવ્યા હતા. આથી આ બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. જેથી નાગરિકોએ પણ આવા લેબલ વગરના કોઇપણ ઇન્જેક્શનને બજારમાંથી લેભાગુ માણસો પાસેથી ખરીદવા નહી તેમ પણ કોશિયાએ જણાવ્યુ હતું.