અરવલ્લી : ગુજરાતમાં અસ્પૃશ્યતા, સામાજિક સમરસતાની વાતો કરવામાં ભાજપ સરકારે કઈ કમી રાખી નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દલિતોના ઉદ્ધાર માટે વચનો તો મન મૂકીને આપે છે. વાસ્તવમાં ગતિશીલ ગુજરાતના બણગા ફૂંકતી સરકારમાં દલિત સમાજનીની સ્થિતી હજુ પણ દયનિય જ રહી છે. હજુ પણ કહેવાતા સભ્ય સમાજના કેટલાક લોકોની માનસિક સ્થિતિ દરિદ્ર જાેવા મળી રહી છે. રાજ્યમાં છાસવારે દલિતો પર હુમલા થવાની અને હડધૂત કરવાની ઘટનાઓ બની રહી છે. દરમિયાનમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફાંસારેલ ગામે વસતા દલિત સમાજના લોકોનું કોઇ સ્મશાન ન હોવાથી વર્ષોથી ગામમાં આવેલી ખરાબાની જગ્યામાં અંતિમક્રિયા કરતા હતા. દરમિયાનમાં ગામના અનુસુચિત જાતિ સમાજના વૃદ્ધનું સર્પદંશથી મોત થયું હતું. સમાજના લોકો ખરાબાની જગ્યામાં અંતિમક્રિયા માટે પહોંચ્યા હતા. જ્યા પોતાને ગામના સવર્ણ કહેવડાવાતા સમાજના લોકોએ વૃદ્ધની અંતિમક્રિયાની વિધિ અટકાવી તેમની માલીકીની જગ્યા હોવાનું જણાવતા દલિત સમાજના લોકોને ત્રણ ત્રણ સ્થળે વૃદ્ધની અંતિમક્રિયા ન થવા દેતા પરિવારજનો છેલ્લાં ૫-૫ કલાકથી અંતિમક્રિયા માટે મૃતદેહ લઈને રઝળી રહ્યા છે. આ અંગેની જાણ દલિત સમાજના અગ્રણી હસમુખ સક્સેનાને થતા તાબડતોબ ફાંસારેલ ગામે પહોંચ્યા હતા.આ અંગે જિલ્લા પોલીસવડા અને વહીવટી તંત્રને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું આખરે સ્થાનિક પોલીસ અને મામલતદારની ઉપસ્થિતિમાં ગામના લોકો સાથે ચર્ચા હાથધરી આખરે મામલો થાળે પાડી વૃદ્ધની અંતિમવિધિ શરૂ કરવામાં આવી હતી. દેશમાં અનેકવાર મૃતક વ્યક્તિના મૃતદેહનું સન્માન ન જળવાતું હોવાની ઘટનાઓ બનતી રહે છે. માલપુરના ફાંસારેલ ગામે જીવતા તો અસ્પૃશ્યતાનો ભોગ બનતા રહ્યા મૃત્યુ પછી પણ અસ્પૃશ્યતાએ પીછો ન છોડ્યો હોય તેમ હૃદયદ્રાવક કિસ્સો બહાર આવતા અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ભારે પ્રત્યાઘાતો પડ્યા છે. ગામમાં રહેતા અનુસુચિત જાતિ સમાજના વૃદ્ધને સાપે ડંસ મારતા મોત નિપજતા મૃતદેહની અંતિમવિધિ કરવા માટે પરિવારજનોએ ૫ કલાક સુધી રઝળપાટ કરવો પડતા આ ઘટના અંગે દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ ઘટના બાદ પોતાને સવર્ણ સમાજના મોભીએ ગણાવતા ગામના લોકો સામે સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે, અને જાણે મૃતદેહના શબ્દો ગુંજી રહ્યા છે કે, રે કુદરત ! તેરે દર દેર ભી ઔર અંધેર ભી... જિંદગી અસ્પૃશ્યતા સાથે ગુજારી તો મર્યા પછી મોતની અદબ જળવાતી તો આત્માને શાંતિ મળતી પણ મને આ તે કેવો અન્યાય... મર્યા પછી પણ રાખ્યો અસ્પૃશ્ય. 

માનવતાને નેવે મૂકનારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

જીવતાઓના અધિકારો માટે પણ વલખાં હોય ત્યાં શબના સન્માનપૂર્વક મૃત્યુના અધિકાર માટે લડે કોણ ? આટલી બેરૂખી અને બેઅદબી જાેઈ કોઈ પણ કહે કે હવે જીવવા જેવું રહ્યું નથી પણ મર્યા પછી પણ... સાવ... આવું... મોતનો મલાજાે ન જાળવી શકતા આવી નીચ માનસિકતા ધરાવતા લોકો સામે ફિટકારની લાગણી વરસી રહી છે. પત્નીના મૃતદેહને ખભા પર લઈને ચાલનારને તો પૂછ્યું એની ગરીબી વિશે... પણ આ રીતે મર્યા બાદ પણ અસ્પૃશ્યતાનો સામનો કરાવનાર સામે કોણ કોને પૂછશે? માનવતાને નેવે મૂકતાં આવા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે.