સુરત-

સુરતના એક જાણીતા બિલ્ડર દ્વારા કોરોનાની મહામારીમાં દરિયાદિલી બતાવવામાં આવી છે. હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના પગલે તેમને આખે આખું કોમ્પ્લેક્સ તબીબો, મેડિકલ સ્ટોર, ફિઝિશિયનને છ મહિનાના મફત ભાડા સાથે આપવાનો ર્નિણય કર્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિની સાથે આસપાસના લોકોને વહેલામાં વહેલી તકે તબીબી સારવાર પણ અહીંથી જ મળી રહેશે. હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ઘણા એવા લોકો છે જેમનો ધંધો રોજગાર ઠપ્પ થઈ ગયો છે. દુકાનો તેમજ ઓફિસોના ભાડા ચૂકવવાના પણ રૂપિયા નથી નીકળી રહ્યા. ત્યારે સુરતના વિઘ્નેશ્વર બિલ્ડર ગ્રુપ દ્વારા આ મહામારી વચ્ચે દરિયાદિલભર્યું પગલું લેવામાં આવ્યું છે.

આ બિલ્ડર ગ્રૂપનું ડિંડોલી વિસ્તારમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં કોમ્પ્લેક્સ આવ્યું છે. વિધ્નેશ્વર ગ્રૂપના બિલ્ડર્સ બાલમુકુંદ શાહ, શ્રવણ ચૌરસિયા અને ભાવીન ટેલરે સાથે મળીને આ ર્નિણય કર્યો છે. આ કોમ્પલેક્સમાં ૧૦૦ થી વધુ દુકાનો તેમજ મોટા હોલ આવ્યા છે. તેમને આ આખેઆખું કોમ્પ્લેક્સ છ મહિના માટે ફ્રીમાં આપવાનો ર્નિણય કર્યો છે. તબીબો, નર્સ, ફિઝીયોથેરાપી, મેડિકલ સ્ટોર તથા સંસ્થાઓ માટે આ તમામ ઓફિસોને છ મહિના માટે ફ્રી ભાડા સાથે આપવાનો ર્નિણય કર્યો છે.

બિલ્ડર દ્વારા એક પણ રૂપિયો આ લોકો પાસેથી લેવામાં આવશે નહિ. સાથોસાથ જાે જરૂર જણાશે તો તમામ લોકોને ટેબલ, ખુરશી સહિતની જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવશે. બિલ્ડર દ્વારા આ તબીબોની જાહેરાત વધુમાં વધુ થાય તે માટે ટીવી, પ્રિન્ટ તેમજ અન્ય માધ્યમથી જાહેરાત કરી તેમનો પ્રચાર પણ કરવામાં આવશે. આ સેવાકીય પ્રવૃત્તિની સાથે આસપાસના તમામ લોકોને વહેલામાં વહેલી તકે તબીબી સારવાર પણ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, જાે આ આખી મિલકત બિલ્ડર ભાડા પર આપી દે તો રૂપિયા ૨૦ લાખની મહિને કમાણી થશે.