દિલ્હી-

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ છ રાજ્યોને 4,382 કરોડની રકમ જાહેર કરી છે. આ રકમ કેન્દ્ર દ્વારા આ વર્ષે કુદરતી આફતોનો ભોગ બનેલા રાજ્યોને સહાય રૂપે આપવાની છે. આ રકમ પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને સિક્કિમને અપાશે જ્યાં આ વર્ષે લોકો ચક્રવાત, પૂર અને ભૂસ્ખલનનો ભોગ બન્યા છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમિતિએ કેન્દ્ર દ્વારા વધારાની સહાય રૂપે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) પાસેથી છ રાજ્યોને 4381.88 કરોડની મુક્તિને મંજૂરી આપી છે. 'અમ્ફાન' ચક્રવાતનો ભોગ બનેલા પશ્ચિમ બંગાળ માટે 2707.77 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં આવેલા 'નિસર્ગ' ચક્રવાતથી સર્જા‍ય વિનાશમાંથી સાજા થવા માટે 268.59 કરોડની મંજૂરી આપવામાં આવી છે. કર્ણાટકને દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર અને ભૂસ્ખલનથી થતાં નુકસાનની ભરપાઇ માટે 577.84 કરોડ રૂપિયા અપાશે. 611.61 કરોડ મધ્યપ્રદેશને અને 87.84 કરોડ રૂપિયા સિક્કિમને આપવામાં આવશે.