અમદાવાદ,  રાજ્યમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. દિવાળી પહેલા લોકોને નિયંત્રણો હળવા કરાયા હતા, ત્યારે ફરી એકવાર કોરોનાના નિયંત્રણ હળવા કરવા અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના નિયંત્રણો ઝડપથી હટાવવા વિચારણા કરવામાં આવશે. અન્ય દેશો કરતા હાલ આપણી સ્થિતિ ઘણી સારી છે.

લોકોની સુખાકારીમાં નિયમો અડચણરૂપ બનશે નહીં.કોરોનાના નિયંત્રણ હળવા કરવા અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, કોરોના કાળમાં તમામ લોકોનો સરકારને સહકાર મળ્યો છે. અન્ય દેશોમાં હજુ પણ કોરોનાનો કહેર છે. જેથી હજુ નિયંત્રણ દૂર કરવામાં ચિંતા થાય છે. પરંતુ લોકોને કોઈ મુશ્કેલી ના પડે અને સાથે મળીને લડાઈ ચાલુ રાખવા નિયંત્રણો દૂર કરવા વિચારણા કરાશે. જાે કે હાલ કોરોનાના કેસ ભલે ઓછા આવી રહ્યા હોય તેમ છતા સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે.અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં સોમવારે કોરોનાના નવા ૨૫ કેસ નોંધાયા હતા. બીજી તરફ ૨૬ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૮૩૧ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૪ ટકાએ પહોંચી ચુક્યો છે. તો સોમવારના દિવસમાં ૩,૬૭,૦૪૬ રસીના ડોઝ અપાયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ જાેખમ મહાનગરોમાં સર્જાયુ હતું. ખાસી કરીને અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં સ્થિતિ બેકાબૂ બની હતી. આ શહેરોમાં અગાઉની કોવિડ ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝરના વ્યાપક ઉપયોગ સાથે સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયાસ કરાશે.મહાનગરોમાં લગ્ન, અંતિમવિધિ, દફનવિધિ, રાજકીય, સામાજિક, જાહેર મેળાવડાઓ, પરિવહન વગેરે માટે પણ લોકોને એકઠા થવાની સંખ્યાની મર્યાદામાં વ્યાપક વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યમાં ફરીથી કોરોનાના કેસ વધ્યા છે, પરંતુ જાે સ્થિતિ આવીને આવી જ રહેશે તો સરકાર ટૂંક સમયમાં છુટછાટો પર પ્રતિબંધ મૂકી શકે છે.