દિલ્હી-

ભારત સરકારના ઋણબોજમાં સતત વધારો થતા તે દેવા ડુંગળ તળે દબાઇ રહી છે. જાહેર ઋણબોજના સત્તાવાર આંકડા મુજબ ભારત સરકારનું બાકી જાહેર દેવું પૂરા થયેલા સપ્ટેમ્બર ક્વાર્ટર 2020ના અંતે 5.6 ટકા વધીને 107.04 લાખ કરોડને આંબી ગયુ છે. જ્યારે જૂન ક્વાર્ટરના અંતે સરકારનું જાહેર દેવુ 101.03 લાખ કરોડ રૂપિયા નોંધાયુ હતુ.

ભારતના જાહેર ઋણબોજમાં ત્રિમાસિક ધોરણે 5.6 ટકાનો વધારોએ કોરોના મહામારીના કટોકટી દરમિયાન આરોગ્ય સેવાઓ પાછલ ઉંચા ખર્ચ અને વેરાકીય આવક ઓછી રહેવા છતાં વધેલા સરકારી ખર્ચને આભારી છે. જે સરકારી આવક દબાણ હેઠળ હોવાનું પ્રતિબિબં પાડે છે. જાહેર દેવા વ્યવસ્થાના તાજેતરના ત્રિમાસિક રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટર 2020ના અંતે કુલ બાકી જવાબદારીઓમાં જાહેર દેવાનો હિસ્સો 91.1 ટકા જેટલો હતો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ડેટ જામીનગીરીઓના પ્રાયમરી ઇશ્યૂ ઉપર સરેરાશ વેઇટેજ યિલ્ડ જે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટરમાં 5.85 ટકા હતી તે ઘટીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 5.80 ટકા થઇ છે. 

નાણાંકીય વર્ષ 2021ના બીજા ક્વાર્ટર દરમિયાન ઓક્શન માટે 13 તબક્કામાં 4,20,000 કરોડ રૂપિયાની જામીનગીરીઓ મૂકવામાં આવી હતી, ગ્રીનશૂ ઓપ્શન્સની કામગીરીને લીધે અગાઉ જાહેર કરેલ કરતા થોડીક વધારે છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 3,46,000 કરોડની જામીનગીરીઓ ઇશ્યૂ કરી હતી જે વર્ષ પૂર્વેના સમાન ગાળાના 2,21,000 કરોડ રૂપિયાની તુલનાએ વધારે છે. 

કેન્દ્ર સરકારની જામીનગીરીઓના માલિકીના પેટર્નથી જાણવા મળે છે કે, કોમર્શિયલ બેન્કોની હિસ્સેદારી જે માર્ચ 2020ના અંતે 40.4 ટકા ગતી જે સપ્ટેમ્બર 2020ના અંતે ઘટીને 38.6 ટકા થઇ ગઇ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે વીમા કંપનીઓ અને પ્રોવિડન્ટ ફંડની હિસ્સેદારી અનુક્રમે 25.3 ટકા અને 4.8 ટકા હતી. તો મ્યુ.ફંડોની હિસ્સેદારી જૂન ક્વાર્ટરના 2.0 ટકાથી વધીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2.4 ટકા થઇ છે.