દિલ્હી-

ઓક્ટોબર મહિનાએ રોજગારના મોરચે ફરી ચિંતા ઉભી કરી છે. દેશમાં બેરોજગારીનો દર ઓક્ટોબરમાં વધીને 6.98 ટકા થયો છે. ખાનગી થિંક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) ના ડેટા દ્વારા આ વાત સામે આવી છે. સપ્ટેમ્બરમાં બેરોજગારીનો દર 6.67 ટકા હતો.

લોકડાઉન નરમ થયા પછી આર્થિક પ્રવૃત્તિમાં વધારો થયો છે, જેના કારણે છેલ્લા ઘણા મહિનાઓમાં બેકારીમાં થોડી રાહત મળી હતી, પરંતુ ઓક્ટોબરમાં તે ફરીથી વધી છે. આનું કારણ એ હોઈ શકે કે કૃષિ ક્ષેત્રમાં હંગામી રોજગાર ઓછી થઈ રહી છે.

અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે જેમ જેમ દેશ અનલોક તરફ આગળ વધશે તેમ તેમ રોજગારની સ્થિતિ વધુ સારી થશે. પરંતુ ઓક્ટોબરમાં અને ઓગસ્ટ પહેલા આ આંકડાઓ વધુ સારા રહ્યા નથી. અગાઉ જૂનમાં બેરોજગારીનો દર 10.99 ટકાએ પહોંચ્યો હતો.  આ સમયગાળા દરમિયાન શહેરી બેરોજગારીમાં ઘટાડો એ રાહત છે. મળતી માહિતી મુજબ ઓક્ટોબરમાં શહેરી બેરોજગારી 7.15 ટકા હતી, જ્યારે સપ્ટેમ્બરમાં તે 8.45 ટકા હતી.

જો કે, આ સમયગાળા દરમિયાન ગ્રામીણ બેકારીમાં વધારો થયો છે. ગ્રામીણ બેરોજગારી સપ્ટેમ્બરમાં 5.86 ટકાની તુલનાએ વધીને 6.90 ટકા થઈ ગઈ છે. રાજ્યોની વાત કરીએ તો, હરિયાણામાં સૌથી વધુ બેરોજગારી 27.3 ટકા છે, ત્યારબાદ રાજસ્થાનમાં 24.1 ટકા અને જમ્મુ-કાશ્મીરમાં 16.1 ટકા છે. રોજગારના મોરચે જુલાઇમાં જૂન મહિના કરતા વધુ સારા આંકડા બહાર આવ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આંકડા ધીમે ધીમે સુધરશે. પરંતુ આંકડા ફરી નિરાશ થયા છે. જુલાઈની તુલનામાં ઓગસ્ટમાં રોજગારની તકોમાં ઘટાડો થયો છે અને હવે ફરીથી ઓક્ટોબરમાં બેરોજગારી વધી છે.