અમદાવાદ, અમદાવાદમાં આશ્રમ રોડ પર એક વૃદ્ધ કારચાલકે વારાફરતી ૭ લોકોને અડફેટે લીધાં હતાં, જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં આશ્રમ રોડ પર ગૂજરાત વિદ્યાપીઠ પાસે એક વૃદ્ધ નશાની હાલતમાં હોન્ડા બ્રિયો કાર લઈને ઇન્કમટેક્સથી વિદ્યાપીઠ તરફ આવતા હતા. તેમણે આ દરમિયાન વારાફરતી ૭ લોકોને અડફેટે લીધા હતા. કારની એટલી ઝડપ હતી કે સૌથી પહેલા એક એક્ટિવા, ત્યાર બાદ એક કાર અને રિક્ષા, ત્યાર બાદ બે એક્ટિવાને અડફેટે લીધાં હતાં. ત્યાર બાદ કાર આગળ જઈને ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાં ઊભી રહી ગઈ હતી. લોકોએ કારમાંથી વૃદ્ધ ડ્રાઈવરને પકડીને માર માર્યો હતો. કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. વિદ્યાપીઠ પાસે અકસ્માતની ઘટના નજરે જાેનાર પ્રત્યક્ષદર્શીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વૃદ્ઘ ચિક્કાર શરાબ પીને ગાડી ચલાવતા હતા. તેમણે એક પછી એક એમ સાત લોકોને અડફેટે લીધા હતા. આશ્રમ રોડ પર અકસ્માતની વણઝાર સર્જનાર કારચાલક પાસેથી મળી આવેલા ઓળખકાર્ડમાં જાણવા મળ્યું છે કે તેઓ વકીલ છે અને ઈન્કમટેક્સ બાર એસોસિયેશનમાં જાેડાયેલા છે.