દિલ્હી-

ચૂંટણી પંચે કોરોના કાળમાં ચૂંટણી સંબંધીત માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ઉમેદવાર સહિત ફક્ત પાંચ લોકો ડોર ટૂ ડોર પ્રચારમાં ભાગ લઈ શકશે. ઉમેદવાર ડિપોઝિટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે. જાહેર રેલી કે રોડ શૉની મંજૂરી ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના કોરોના અંગેની માર્ગદર્શિકા પ્રમાણે મળશે. આ ઉપરાંત પણ ચૂંટણી પંચે વિસ્તૃતમાં દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

ચૂંટણી પંચે રાજકીય પક્ષો તરફથી આપવામાં આવેલા વિચારો અને સૂચનો અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારના મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી કરવામાં આવેલા સૂચનો અને ભલામણો અંગે પણ ચર્ચા કરી હતી. ચૂંટણી પંચ તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ તમામ પર વિચાર-વિમર્શ કર્યા બાદ ચૂંટણી પંચે ત્રણ દિવસમાં વિસ્તૃત દિશા-નિર્દેશ તૈયાર કરવાનો આદેશ કર્યો છે."

ચૂંટણી પંચની નવી ગાઇડલાઇન પ્રમાણે હવે ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવાર સાથે ફક્ત બે લોકો અને બે ગાડી લઇ જવાની છૂટ આપવામાં આવશે. મતગણતરી હૉલમાં સાતથી વધારે કાઉન્ટિંગ ડેસ્કની મંજૂરી નહીં મળે. એક વિધાનસભા ક્ષેત્રનું કાઉન્ડિંગ ત્રણથી ચાર હૉલમાં થઈ શકે છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સેનિટાઇઝર, ગ્લવ્ઝ, ફેસ શીલ્ડ, માસ્ક, થર્મલ સ્કેનરનો ઉપયોગ કરવાનો રહેશે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે દિવ્યાંગો, 80 વર્ષથી વધારે વયના લોકો તેમજ કોરોના વાયરસને કારણે ફરજમાં રોકાયેલા કર્મીઓને પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે.