નવી દિલ્હી

કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ સહિત સંગઠનના અન્ય પદોની ચૂંટણી ૧૫થી ૩૦ મે વચ્ચે કરાવવામાં આવી શકે છે. સૂત્રોના હવાલાથી સમાચાર છે કે શુક્રવારે બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મે મહિનામાં સંગઠનની ચૂંટણી કરાવવા પર વિચાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને માનવામાં આવી રહ્યુ છે કે આ ચૂંટણી ખતમ થયા બાદ કોંગ્રેસમાં સંગઠનાત્મક ચૂંટણી કરાવવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ફેબ્રુઆરીમાં પાર્ટીની આંતરિક ચૂંટણી કરાવવા પર સંમતિ બની છે.

તમને જણાવી દઈએ કે એપ્રિલ-મે ૨૦૨૧માં તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સૂત્રો મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં બે સભ્યોએ આ પ્રસ્તાવ રાખ્યો કે ફેબ્રુઆરીમાં પાર્ટીની આંતરિક ચૂંટણી કરાવવી જાેઈએ જેથી વિધાનસભા ચૂંટણી માટે એક ટીમ તૈયાર કરવામાં પૂરતો સમય મળી શકે. તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને અસમમાં કોંગ્રેસ સત્તાની બહાર છે. માત્ર પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર છે. બેઠક દરમિયાન પાર્ટી પદાધિકારીઓએ કહ્યુ કે વિધાનસભા ચૂંટણી અને સંગઠનાત્મક ચૂંટણી વચ્ચે એક લાંબુ અંતર જરૂરી છે જેથી ચૂંટણી અભિયાનમાં કોઈ નુકશાન ન થાય.

બેઠકમાં સોનિયા ગાંધીએ ખેડૂત આંદોલન અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મોદી સરકારે સંવેદનહીનતા અને અહંકારની તમામ સીમાઓ પાર કરી દીધી છે. આ કાયદાઓને સરકારે ઉતાવળમાં પાસ કરી દીધા. સંસદમાં કૃષિ કાયદાઓને યોગ્ય રીતે સમજવાનો મોકો આપવામાં ન આવ્યો અને હવે બેઠકોનો દેર ચાલી રહ્યો છે. પહેલાં જ કોંગ્રેસ આ ત્રણેય કાયદાઓને નકાર્યા હતા.

સાથે જ સોનિયા ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા એક ગંભીર વિષય છે. પાછલા દિવસોમાં જે ગોપનીય માહિતી લીક થવાનો મામલો સામે આવ્યો હતો, તે ગંભીર મુદ્દો છે. જે અંગે સરકાર ચુપ છે. ઉપરાંત તેમણે વેક્સિનેશન અંગે કહ્યું કે, અમને આશા છે કે સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે પૂરી થશે. કોરોના મહામારી દરમિયાન સરકારની ખોટી નીતિઓએ ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

સુરજેવાલાએ કહ્યું કે સીડબ્લ્યુસીની બેઠકમાં ત્રણ દરખાસ્તો પસાર થઈ. તેમણે કહ્યું, "પહેલો પ્રસ્તાવ આક્રોશિત ખેડુતો વિશેનો છે. સીડબ્લ્યુસીએ નોંધ્યું કે મોદી સરકાર કાવતરાખોર રીતે ખેડૂતોને દેશદ્રોહી સાબિત કરવામાં લાગી છે. પાર્ટીએ ત્રણેય કાયદા તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી હતી. બીજાે પ્રસ્તાવ કોરોના વેક્સિન વિશે છે, જેમાં વૈજ્ઞાનિકો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માનવામાં આવ્યો હતો. પરંતુ તે પછી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે સરકાર પાસે ૩ કરોડ આરોગ્ય અને ફ્રન્ટલાઈન કામદારો સિવાય લોકોને રસી આપવાની કોઈ યોજના નથી."