વડોદરા : રાજ્ય સરકારે કોરોનાની મહામારી જેવા ગંભીર સમયમાં કોરોના પોઝિટિવ દર્દીઓના જીવ બચાવવા માટે રાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલા ધમણ વેન્ટિલેટર ખરીદ્યા હતા. જાે કે, આ ધમણ વેન્ટિલેટર કોરોના દર્દીઓના જીવ બચાવવા માટે તેમજ સારવારમાં કેટલા કારગત નીવડશે એ અંગે વિવાદ સર્જાયો હતો અને તેની સામે અનેક સવાલો ઊઠયા હતા.જેના કારણે રાજ્ય સરકારે ધમણનો ઉપયોગ નહીં થાય તેવો દાવો કર્યો હતો. જાે કે, સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ધમણ વેન્ટિલેટર સારવારમાં ઉપયોગમાં લેવાયા હતા. સયાજી હોસ્પિટલમાં ગત મોડી સાંજે કોવિડના આઈસીયમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ સાવચેતીના ભાગરૂપે આખી બિલ્ડિંગની લાઈટો બંધ કરવામાં આવી હતી. જેથી તમામ દર્દીઓ પારેવાં જેમ ફફડી ઊઠયાં હતાં. આગ લાગવાનું કારણ હોસ્પિટલના સત્તાધીશોને પૂછવામાં આવતાં તેમને વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થવાનું કારણ આગળ ધર્યું હતું, જ્યારે વેન્ટિલેટરની કંપનીનું નામ પૂછવામાં આવતાં ભેદી મૌન સેવ્યું હતું તે બાદ સળગી ગયેલા મશીનની તપાસ કરતાં ધમણ વેન્ટિલેટર મશીન હોવાનું જાણવા મળ્યું હતું. જે ધમણ વેન્ટિલેટર સામે સારવારના ઊઠેલા સવાલોવાળું ધમણ વેન્ટિલેટર હોવાથી કોરોનાના દર્દીઓના જીવ જાેખમમાં મુકાયા હતા. જાે કે, હોસ્પિટલના ફરજ પરના તબીબી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી કોન્ટ્રાક્ટના ચોથા વર્ગના કર્મચારી સ્ટાફ અને હોસ્પિટલના ફાયર સેફટીના તાલીમ પામેલા સ્ટાફ કર્મચારીઓની હોસ્પિટલમાં મોટી જાનહાનિની હોનારત ટળી હતી. 

આગની ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની કમિટીની રચના કરાઈ

વડોદરા, તા.૯

વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના આઈસીયુ વોર્ડના પ્રથમ માળે મંગળવારે આજે લાગેલી આગની ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની તપાસ કમિટી બનાવી છે. કમિટીના સભ્યોએ સયાજી હોસ્પિટલમાં જઈને તપાસ શરૂ કરી છે. ડે.મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં આ કમિટી બનાવાઈ છે.સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટના સંદર્ભે તપાસ કરવા માટે ચાર સભ્યોની કમિટીની રચના જિલ્લા કલેકટરને કરી છે, જેમાં ડે. મ્યુનિ. કમિશનર સુધીર પટેલ, ગોત્રી મેડિકલ કોલજના ડીન વર્ષા ગોડબોલે, ગોત્રી કોલેજના પ્રો.નીતા બોસ અને એમજીવીસીએલ વડોદરા શહેરના સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર બી.જે.દેસાઈનો સમાવેશ થાય છે.કમિટીના સભ્યોએ આજે જ તપાસ શરૂ કરતાં સયાજી હોસ્પિટલના કોવિડ આઈસીયુ વોર્ડમાં જઈને ઘટના સમયે ફરજ પર હાજર મેડિકલ સ્ટાફ સહિતની પૂછપરછ કરીને માહિતી મેળવી હતી.