અમદાવાદ -

સામાન્ય વિદ્યાર્થીઓ પણ જે નથી કરી શકતા તે અમદાવાદની દિવ્યાંગ વિધાર્થીની કલગી રાવલ કરી રહી છે. કલગીએ પહેલા ધોરણથી જ અંધશાળાને બદલે સામાન્ય શાળામાં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કર્યો છે અને પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. એટલું જ નહિ કલગીની શૈક્ષણિક કારકિર્દીમાં તેણે કયારેય બ્રેઇલ લિપિમાં અભ્યાસ કર્યો નથી પણ ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલ ફોન અને લેપટોપના ઉપયોગથી આપમેળે આગળ વધી છે. 

કલગી હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલીગની પહેલી દિવ્યાંગ પરિક્ષાર્થી બનશે. આમ તો કોરોના વાયરસના સંક્રમણ બાદ ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય અટવાઈ પડ્યું હતું. જોકે વર્ષ 2021માં ગુજરાતમાં પહેલીવાર બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. સમગ્ર દેશમાં શરૂ થઈ રહેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની ધોરણ12ની પરીક્ષામાં અમદાવાદની સૌ પહેલી દિવ્યાંગ કલગી રાવલ પરિક્ષાર્થી બનશે. 

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા તો મેમાં યોજાશે પણ ગુજરાત માં સૌથી પહેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ની ધોરણ12 ની ઓક્ટોબરમાં મોકૂફ રહેલી પરીક્ષા 27 જાન્યુઆરીથી યોજાઈ રહી છે. કોરોનાના 9 મહિના દરમિયાન સામાન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કલગીએ કોઈ પણ શિક્ષક કે શાળા વિના ઘેર બેસીને NIOSની અંગ્રેજી મીડીયમની પરીક્ષાની તૈયારી કરી હતી.

આ પરીક્ષા માટે અમદાવાદની આ વિધાર્થીનીએ પણ ફોર્મ ભર્યું હતું અને કોરોનાના સમય દરમિયાન ઘેર બેસીને કોઈ પણ શિક્ષક કે શાળા સિવાય જાતે મોબાઈલના માધ્યમથી પરિક્ષાની સંપૂર્ણ તૈયારી કરી હતી. કલગીના પિતા જણાવે છે કે કલગીએ અમદાવાદની પહેલી વિદ્યાર્થીની છે કે, જે ધોરણ 10 પછી સીધી ધોરણ12ની પરીક્ષા આપશે. કલગી એ પહેલી વિદ્યાર્થીની છે કે જે કોરોના સમયમાં યોજાનારી ધોરણ12 ની નેશનલ ઓપન સ્કૂલિંગની પરીક્ષામાં બેસશે.