વડોદરા 

 અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણના શિલાન્યાસનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાયો હતો. ત્યારે દેશભરમાં ખુશીના માહોલ વચ્ચે અનેક વીધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વડોદરા શહેર-જિલ્લામાં પણ આ પ્રસંગે લાડુ વિતરણ.પૂજા-અર્ચના,અખંડ ધુન,આકર્ષક રંગોળી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસને લઈને વડોદરા શહેર અને જિલ્લામાં હિન્દૂ ધર્માના તમામ ધાર્મિક સ્થાનો અને શહેરના જાહેર સ્થળોએ પક્ષાપક્ષીથી પાર રહીને એક એકથી ચઢિયાતા રંગારંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેને લઈને શેરમાં સર્જાયેલા ભક્તિમય વાતાવરણને કારણે પ્રજાને જાણેકે વડોદરામાં જ રામમંદિરનો શિલાન્યાસ થઇ રહ્યો હોય એવી અનુભૂતિ થઇ હતી.રામ ભક્તો ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ,બજરંગ દળ,ભાજપ.કોંગ્રેસ અને અન્ય સામાજિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા આ પ્રસંગે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ એના અંતે ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો.આ ઐતિહાસિક ઘડીનું વડોદરા પણ સાક્ષી બન્યું હતું.તેમજ ઠેર ઠેર જયશ્રી રામના નારા ગુંજી ઉઠ્‌યાં હતા.શહેરના રામમંદિરોમાં આ નિમિત્તે વિશેષ પૂજા રચના કરાઈ હતી.

ભાયલીના ખેડૂતે બનાવેલી ૨૦ ફૂટની ઉંચી ખુરશી પર રામલ્લાને બિરાજમાન કર્યા

ભાયલી ગામમાં રહેતા ખેડૂત અરવિંદભાઈ પટેલે ૧૫ દિવસમાં ૨૦ ફૂટ ઉંચી અને ૧૫૦૦ કિલો વજનની ખુરશી તૈયાર કરી છે.તેમણે અયોધ્યામાં બનનાર ભવ્ય ભગવાન શ્રીરામના મંદિરના શિલાન્યાસની સાથે પોતે બનાવેલી વિશાળ ખુરશીમાં ભગવાન શ્રીરામની તસવિર મુકીને પોતાના પેટ્રોલ પંપ પર લોકોને દર્શન માટે મુકી હતી.

પ્રતાપ મડધાની પોળ યુવક મંડળ અને કડક બજાર વેપારી મંડળ દ્વારા લાડુનુ વિતરણ કરાયુ

પ્રતાપ મડધાની પોળ યુવક મંડળ દ્વારા રણછોડજી ભગવાનના મંદિરમાં પૂજા-અર્ચના બાદ ૨૧૦૦૦ લાડુના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે કડક બજાર વેપારી મંડળ દ્વારા સ્ટેશન પાસે ૧૧૦૦ લાડુ બવાનીને વિતરણ કરવામાં આવ્યુ હતુ.

છાણી ગામમાં લોકો અને સાધુ સંતોએ ઉજવણી કરી

છાણી ગામના લોકો અને સાધુ સંતોએ અયોધ્યામાં ભગનામ શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણના ભૂમી પૂજનની ઉજવણી કરી હતી. જેમાં બે ગજરાજ પર ભગવાન શ્રીરામનો ફોટો મુક્યો હતો અને હજાર લોકોને શિરાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.પાલિકાના સ્થાયી સમિતીના ચેરમેન સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જ. શ્રીરામ ના નારા લગાવ્યા હતા.

ખારીવાવ રોડ રામ મંદિર ખાતે સંસ્કાર ભારતીના કલાકારોએ આકર્ષક રંગોળી બનાવી

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણના શિલાન્યાસ પ્રસંગે વડોદરા સંસ્કાર ભારતી દ્વારા દાંડિયા બજાર રામવે પ્લાઝા સ્થિ રામ મંદિર ખાતે ભવ્ય રંગોળીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ૧૫ ફૂટની આકર્ષક રંગોળી સંસ્કાર ભારતીના કલાકારોકેતકી દુગ્ગલ,કવિતા જાધવ,સલોની ચવાણ,સોનાલી પુણેકર,નીલ કુર્પે,એ પ્રમુખ અમિષા ફલ્ટનકરના માર્ગ દર્શન હેઠળ બનાવામાં આવી હતી.

વ્રજધામ મંદિર ખાતે દીપ પ્રાગટ્ય કરી ઉજવણી

માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમાર મહોદય દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ કાર્યના ભૂમી પુજન પ્રસંગે દીપ પ્રાગટ્ય કરીને ઉજવણી કરી હતી.

રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે શહેર કોંગ્રેસે હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજયો

વડોદરા, તા.૫

રામમંદિર નિર્માણના શિલાન્યાસના સમર્થનમાં ભાજપ સહિત વિવિધ સંગઠનો દ્વારા અનેક કાર્યક્રમો યોજાયા હતાં પરંતુ કોંગ્રેસ દ્વારા પણ રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે નવાબજાર રામજીમંદિરમાં હનુમાન ચાલીસાના પાઠના કાર્યક્રમનું આયોજન કરાતા રાજકીય મોરચે આશ્ચર્ય ફેલાયું હતું. જાેકે આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાલિકામા વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૬માં ભગવાન રામજીના મંદિરના દ્વાર ખુલ્યા હતાં. ૯ નવેમ્બર ૧૯૮૯ના રોજ ભુતપૂર્વ પ્રધાન મંત્રી રાજીવ ગાંધીજીએ એક દલિત પરિવાર દ્વારા શ્રી રામ મંદિરનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. દલિત પરિવાર દ્વારા ખાતમૂહુર્ત કરવાનો હેતુ એટલે સર્વધર્મ સમભાવની સ્થાપના રાજીવ ગાંધીજીની રામ રાજ્ય ભારત દેશમાં સ્થપાય તે માટે ઘણા પ્રયાસો કર્યા હતાં. ત્યાર બાદ સર્વ મામલો કોર્ટમાં પહોંચતા રામમંદિરનું સ્વપ્ન થોડા સમય માટે રોકાઇ ગયું હતું. થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપી રામ મંદિર બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. ત્યાર બાદ ૨૦૨૦ની સાલમાં સુપ્રિમ કોર્ટ દ્વારા રામ જન્મ ભુમિનો ચુકાદો આપવામાં આવ્યો અને ભવ્ય રામમંદિર બનવાનો માર્ગ મોકળો થયો. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિરનું પુનઃ ખાતમૂહુર્ત કરવામાં આવી રહ્યું છે.

સામાજીક કાર્યકરે શ્રીરામની તસવીર સાથે રક્તદાન કર્યુ

પાંચસો વર્ષની રાહ જોયા બાદ આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે શીલા પૂજન છે ત્યારે પૂરા ભારતમાં આજે દિવાળી જેવો માહોલ છે અનેક લોકો અનેક કાર્યક્રમ કરી રહ્યા છે પોતાના ઘરોને રંગરોગાન કરીને સાંજે દિવા પ્રગટાવ્યા છે ત્યારે આ શીલા પૂજન ની યાદગીરી રૂપે આજે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા યાદગારી રૂપે બ્લડ ડોનેટ કરેલ છે સાથે યુવાનનો ને પણ બ્લડ ડોનેટ કરવા અપીલ કરી હતી.

કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે રામ રક્ષા સ્તોત્ર અને દીપ પ્રાગટય દ્વારા ઉજવણી

અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસંગ નિમીત્તે ડભોઇ તાલુકાના કરનારી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતે અનોખી રીતે દીપ પ્રાગટ્ય અને મંત્રોચ્ચાર કરી કોરોના મહામારી માંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના સાથે ઉજવણી કરવામાં આવી હતી. કુબેરભંડારી ખાતે આજે સવારે પ્રાતઃકાળ ની આરતી દરમિયાન બ્રાહ્મણોએ રામ રક્ષા સ્તોત્ર સાથે વૈદિક પૂજા અને આરતી કરી કોરોના મહામારી માંથી ભારત દેશને ભગવાન મુક્તિ અપાવે તેવી પ્રાર્થના કરી રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરના શિલાન્યાસ ને વધાવવામાં આવ્યો હતો.કુબેર ભંડારી મંદિર ખાતે પુજારી બાબાભાઈ તથા બ્રાહ્મણો કમલેશભાઈ વિપુલભાઈ દત્તાભાઈ અને મિતેશભાઇ સહિત વિગેરે રામ રક્ષા સ્તોત્ર ગાયને કુબેર દાદા ની અને રામજીની પ્રાર્થના કરી મંદિરના પટાંગણમાં દીપ પ્રાગટય થકી જય જય શ્રી રામ ની આકૃતિ બનાવી હતી જેણે ભાવિકોમાં આકર્ષણ જમાવ્યું હતું.