વડોદરા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરામાં ફેલાતા કોરોના સંક્રમણને લઇને ઉચ્ચરસ્તરીય બેઠક યોજી હતી. ત્યાર બાદ પત્રકારોને સંબોધતા નીતિન પટેલે કહ્યું કે વડોદરામાં હવે અમદાવાદની જેમ કોરોના રેપિડ ટેસ્ટ માટેના કેમ્પ બનશે અને ચાર અતિથિગૃહને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવશે.

નીતિન પટેલે જણાવ્યું કે એક સમયે ગુજરાતમાં ૭૦૦ કેસો આવતા હતા અને અત્યારે ૨૨૦૦-૨૩૦૦ દર્દીઓ આવે છે. તેવામાં શહેર અને જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જે સ્થિતિ છે તેને લઈને જરૂરી ર્નિણયો કર્યા છે જેનો આવતીકાલથી અમલ થઈ જશે.

પ્રથમ ર્નિણયમાં ધન્વંતરી રથ દ્વારા સમગ્ર શહેરમાં ૨૦૦ જેટલી ટીમો બનાવી આરોગ્યની ચકાસણી કરવાનું કામ ચાલુ છે. શહેરમાં દરેક વિધાનસભાદીઠ અમદાવાદ, સુરતની જેમ બે કેમ્પ યોજવામાં આવશે અને તેમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. શહેરીજનો ધન્વંતરી રથની સાથે કેમ્પ પર જઈને ટેસ્ટ કરાવી શકશે. જ્યારે બીજા નિર્ણયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર અતિથિગૃહમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો પૈકીના વ્યક્તિઓને શંકાસ્પદ લક્ષણો જણાય તો તેઓને હોસ્પિટલનાં બદલે કોવિડ કેર સેન્ટર બનાવીને સારવાર તેમજ જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવશે અને ડોક્ટરી તપાસમાં જેમને વધારે લક્ષણો હશે તેમને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હાલમાં પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જેને કારણે જરૂરિયાતવાળા દર્દીઓને બેડ મળતા ન હતા એનો તેમને સ્વીકાર કર્યો હતો.