અમદાવાદ-

અમદાવાદ સ્થિત જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે કોરોના સામે લડવા પ્લાઝમિડ ડીએનએ વેક્સિનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી માગી છે. ZyCov-D તરીકે ઓળખાતી ઝાયડસ કેડિલાની સંભવિત વેક્સીન પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં સુરક્ષિત, ઈમ્યુનોજેનિક અને કોઈ આડઅસર વિનાની હોવાનું જાણવા મળ્યું છે. ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ દ્વારા વેક્સીનના પરિણામોનો રિવ્યૂ પણ કરવામાં આવ્યો છે. હવે જરૂરી મંજૂરી મળ્યા બાદ ઝાયડસ કેડિલા વેક્સીનના ટ્રાયલનો ત્રીજાે તબક્કો શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં ૩૦,૦૦૦ વોલન્ટિયરનો સમાવેશ થશે. ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલે કહ્યું, ZyCov-Dના પહેલા તબક્કાનું ટ્રાયલ સુરક્ષિત હોવાનું માલૂમ થતાં બીજા તબક્કાનું ટ્રાયલ પણ પૂર્ણ કરાયું છે. વેક્સીન સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક હોવાનું માલૂમ પડ્યું છે. અત્યાર સુધીના સ્ટડીમાં ભાગ લેનારા વોલન્ટિયર્સનો આભાર માનતા પંકજ પટેલે કહ્યું, ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામો પણ સારા હશે તેવી આશા છે. ટ્રાયલ સફળ રહ્યા પછી અને નોવેલ વેક્સીનનું ઉત્પાદન શરૂ કરી શકીશું. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનાના અંતમાં પીએમ મોદીએ ઝાયડસ કેડિલા કેમ્પસની મુલાકાત લીધી હતી. અહીં પીએમ મોદી લગભગ એક કલાક જેવું રોકાયા હતા. તેમણે વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરીને વેક્સીનના ટ્રાયલની સમીક્ષા કરી હતી. ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન બનાવવા માટે નેશનલ બાયોફાર્મા મિશન, વિરાક અને ભારત સરકારનાં બાયોટેક્નોલોજી વિભાગ સાથે મળીને કામ કર્યું છે. એક અનુમાન પ્રમાણે ઝાયડસ કેડિલાની આ વેક્સિન આવતા માર્ચ સુધીમા તૈયાર થઇ જશે. એક રિપોર્ટ પ્રમાણે, ઝાયડસ કેડિલા ૧૭ કરોડ વેક્સીન બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.