મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એક્ટિવિટિઝ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે તેવો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે પૂરાતન સાંસ્કૃતિક વિરાસત ધરાવતી બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન વૈવિધ્યસભર વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય સરકાર કરશે.

રાજ્યના પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા ટાપૂઓના પ્રવાસન વિકાસની વ્યાપક સંભાવનાઓને પ્રાથમિક તબક્કે રૂ. 108 કરોડના ખર્ચે વિકાસ કરવા અંગે ગહન ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. ગુજરાત 1600 કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને 144 થી વધુ આયલેન્ડ સ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ ટાપૂઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસમાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે.

આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે આ ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તેમજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા.