અરવલ્લી : સમગ્ર રાજ્યમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે.જેમાં સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધુંઆધાર બેટીંગ શરૂ કરતાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને લઈ મોડાસા શહેરના જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોડાસા શહેરની કેદારનાથ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણી ફરી વળતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મોડાસા નગરપાલિકાની અણ આવડતના લીધે અન્ય સોસાયટીના પાણી ભુગર્ભ ગટરમાં જવાનો બદલે બેક મારતા સોસાયટી બેટ વિસ્તારમાં ફેરવાઈ હોવાનો સોશ્યલ મીડિયામાં જાગૃત યુવકોએ ઉભરો ઠાલવ્યો હતો. અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક ડુંગરો પરથી પાણી ઉતરતા પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ હતી શામળાજી-ગોધરા રાજ્ય ધોરીમાર્ગ પણ પાણીથી તરબોળ બન્યો હતો જીલ્લામાં વહીવટી તંત્ર આફત સામે સજ્જ બન્યું છે જીલ્લામાં એનડીઆરએફ ટીમ તૈનાત કરી દીધી છે અરવલ્લી જીલ્લામાં ભિલોડા તાલુકામાં સતત વરસતા વરસાદે ભારે તબાહી સર્જી છે સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત રહેતા ભિલોડાના સાનિધ્ય નગર બંગ્લોઝ, શાંતિનગર,અન્નપુર્ણા સોસાયટી,ગોવિંદનગર,નવા ભવનાથ,મસ્જીદ પાસે ઢીંચણ સુધી પાણી ભરાયા હતા. 

 ભિલોડા પંથકના ૧૦થી વધુ ગામો ભારે વરસાદના પગલે સંપર્ક વિહોણા બન્યા હતા. હાથમતી અને બુઢેલી નદીના કિનારે આવેલ જમીનોનું ધોવાણ થતા ખેડૂતો પાયમાલ બન્યા છે. રોડ રસ્તાઓનું પણ ધોવાણ થતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક તળાવ છલકાયા હતા.જિલ્લાના ડેમમાં પણ પાણીની આવક શરુ થતા પાણીનું તોળાઈ રહેલ સંકટ ટળ્યુ છે.