વડોદરા : અમદાવાદના ફાઇનાન્સર અલ્પેશ પટેલના આપઘાત કેસમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. આરોપી નરેન્દ્રસિંહ વાઘેલા એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યો હતો અને ફરિયાદ નોંધાઇ તે જ દિવસે રાત્રે બે વાગે હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. કોરોનાનો દર્દી હોવા છતાં સારવાર પુરી થયા વિના જાવા દેવાતા હોસ્પિટલ સંચાલકોની ભૂમિકા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. વધુમાં સયાજીગંજ પોલીસ દ્વારા અમદાવાદમાં આરોપીઓના ઘરે અને કામ કરવાની જગ્યાઓ પર દરોડા જારી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના ફાઇનાન્સર અલ્પેશ પટેલે વડોદરાની એમિટી હોટેલ માં કરેલી આત્મહત્યાના બનાવમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ દસ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજી સુધી કોઇ પત્તો મળી શક્યો નથી. બીજી તરફ અલ્પેશ પટેલના ઘરે નાગાર્જુન તેના માણસોને લઇને ગયો હોવાનો ઝ્રઝ્ર્‌ફનો વીડિયો પણ વાઇરલ થતાં પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. નાગાર્જુને અલ્પેશના પુત્ર સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ પણ બહાર આવી હતી. જેમાં નાગાર્જુને તારા પિતા સાથે વાત થઈ છે તે પ્રકારની વાતચીત કરીને હું તારા ઘરે આવું છું તેમ ધમકીભર્યા સુરે જણાવ્યું હતું. જ્યારે, આજે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મૃતક અલ્પેશ પટેલનો ભાગીદાર અને મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ વાઘેલા એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યો હતો અને ફરિયાદ નોંધાઇ તે જ દિવસે રાત્રે બે વાગે હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, તે હજુપણ કોરોના સંક્રમિત હોવાથી અન્ય કોઈ હોસ્પિટલમાં જ સારવાર મેળવી રહ્યો હોવાની શંકા સાથે પોલીસે હોસ્પિટલોમાં પણ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે નાગાર્જુન મોઢવાડિયા તથા અલ્પેશના ભાગીદાર નરેન્દ્રસિંહ વાઘેલા તથા ભરતસિંહ જોધા અને અમિત ખુંટના ઘરે સમન્સ મોકલીને હાજર થવા જણાવ્યું છે, જ્યારે અન્ય ૬ આરોપીઓના ઘરે પણ સમન્સ મોકલવાની તજવીજ કરવામાં આવી છે, જોકે, સયાજીગંજ પોલીસની બે ટીમોએ અમદાવાદના સોલા અને બાપુનગરમાં ધામા નાખીને આરોપીઓની શોધખોળ કરી હતી, પરંતુ કોઇ પત્તો મળી શક્યો ન હતો. અમદાવાદમાં તપાસ કરી રહેલી સયાજીગંજ પોલીસે આરોપીઓ પૈકીના એક નાગાર્જુન લક્ષ્મણ મોઢવાડિયા અમદાવાદના સોલા ગામમાં રહતો હોવાનું જાણવા મળતાં તેના ઘરે જઈને ફરીથી પંચનામું કર્યું હતું. આ ઉપરાંત સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં રહેતા મુકેશ કાનજી વાઘેલા, સિદ્ધરાજસિંહ ઉર્ફે લાલો કલ્પેશ વાઘેલા અને લકી રાજ અમરસિંહ વાઘેલાને શોધવા માટે પોલીસે ગોધાવી ગામ અને તેના આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ, તેઓ મળી આવ્યા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને ૧૩ તારીખે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા નોટિસ આપી હતી.