અબુધાબીઃ  

દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઈન્ડિયન પ્રીમિયર લીગમા સોમવારે અહીં એકબીજા સામે ઉતરશે તો તેની નજર હારની લય તોડીને પોઈન્ટ ટેબલમાં ટોપ-2મા સ્થાન બનાવવા પર હશે. દિલ્હી અને આરસીબીની મેચ એક રીતે ક્વાર્ટર ફાઇનલ જેવી બની ગઈ છે. બંન્ને ટીમ સતત હારથી ચિંતામાં છે. દિલ્હીએ સતત ચાર તો આરસીબીએ ત્રણ મેચ ગુમાવી છે. હવે બંન્ને ટીમો હારનો ક્રમ તોડીને ટોપ-2મા સ્થાન બનાવવા પ્રયાસ કરશે જેથી તેને ફાઇનલમાં જગ્યા બનાવવા માટે બે તક મળી શકે.  

આ મેચમાં હારનારી ટીમ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે પરંતુ તે માટે તેણે અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં સૌથી દમદાર નજર આવી રહી હતી પરંતુ ત્યારબાદ તેનું નાટકીય પતન થયું. તેણે છેલ્લી જીત બે સપ્તાહ પહેલા મેળવી હતી. તેના બેટ્સમેન ચાલી રહ્યાં નથી અને બોલરો પણ પ્રથમ હાફની જેમ બોલિંગ કરી રહ્યાં નથી.

દિલ્હીની સૌથી મોટી નબળાઈ ઓપનિંગ જોડીનો અભાવ છે. પૃથ્વી શો અને અંજ્કિય રહાણેએ શિખર ધવન સાથે જોડી બનાવી પરંતુ કોઈ સતત સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. ત્યાં સુધી કે ધવન સતત બે મેચમાં સદી ફટકાર્યા બાદ છેલ્લી ત્રણ મેચમાં ચાલી શક્યો નથી. તેણે આ મેચોમાં 0, 0, 6 રન બનાવ્યા છે.

દિલ્હીની ટીમ મધ્યમક્રમમાં પંત પર નિર્ભર છે પરંતુ તે અત્યાર સુધી રંગમાં જોવા મળ્યો નથી. તેણે માત્ર 274 રન બનાવ્યા છે અને તેની સ્ટ્રાઇક રેટ 112.29ની છે. મુંબઈ ઈન્ડિયન્સના હાથે નવ વિકેટની હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે ખુલીને રમવાની વાત કરી હતી. તેણે કહ્યુ હતું કે અમારે બેટિંગ ક્રમમાં ફેરફાર વિશે વિચારવુ પડશે અને નિડર વલણ અપનાવવું પડશે. અમારે દરેક વસ્તુ સરળ રાખવી પડશે અને વધુ વિચારવું જોઈએ નહીં.

આરસીબી પણ સતત હારથી દુખી છે. તેણે શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સતત ત્રણ હાર બાદ ટીમની વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પર નિર્ભરતા સાથે જોડાયેલી ચર્ચા પરી શરૂ થઈ ગઈ છે. કોહલી અને ડિવિલિયર્સ છેલ્લી બે મેચમાં ચાલી શક્યા નથી જેના કારણે ટીમે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આરોન ફિન્ચના સ્થાને ઓપનિંગ ક્રમમાં જગ્યા બનાવનાર જોશ ફિલિપે સારી શરૂઆત કરી છે પરંતુ તે મોટા સ્કોરમાં બદલી શક્યો નથી