જામનગર, જામનગરમાં મહાપાલિકાની એડવાન્સ વેરા પર વળતર યોજના અંતર્ગત ૪૫ દિવસમાં ૫૩૮૪૩ લોકોએ એડવાન્સ વેરો ભરતા મનપાને રૂ.૨૦ કરોડની આવક થઇ છે. રીબેટ યોજના ૩૧ જુલાઇ સુધી લંબાવામાં આવી છે. ૩૦ જૂન સુધીમાં રૂ.૧.૬૨ કરોડનું વળતર અપાયું છે. યોજના અંતર્ગત ૩૫૭૬૬ લોકોએ મિલકત વેરો અને ૧૮૦૭૭ લોકોએ પાણી વેરો ભર્યો છે. જામનગર મહાપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત અને પાણી વેરાની રકમ ભરપાઇ કરનાર મિલકત ધારકો માટે ૧૭ મે થી ૩૦ જૂન સુધી રીબેટ એટલે કે વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાની મુદત વધારી ૩૧ જુલાઇ કરવામાં આવી છે. યોજના અંતર્ગત ૩૦ જુન સુધીમાં ૫૩૮૪૩ આસામીએ યોજનાનો લાભ લીધો છે જેમાં મિલકત વેરાની રૂ.૧૭.૦૩ કરોડ અને વોટરચાર્જની રૂ.૩.૧૪ કરોડની આવક મનપાને થઇ છે.

 જેની સામે કુલ ૧.૬૨ કરોડનું રીબેટ આપવામાં આવ્યું છે. યોજના અન્વયે ૩૫૭૬૬ લોકોએ મિલકત વેરામાં ૧.૩૩ કરોડ અને ૧૮૦૭૭ લોકોએ પાણી વેરામાં ૨૯.૩૫ લાખનું રીબેટ મેળવ્યું છે. મહાનગરપાલિકાએ એડવાન્સ વેરા પર વળતર યોજના એક મહિનો લંબાવી છે ત્યારે તેનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરાયો છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત તા.૧ એપ્રિલથી ૩૦ જૂન સુધીમાં મનપાએ મિલકત વેરાની રૂ.૧૯.૦૧ કરોડ અને પાણી વેરાની રૂ.૩.૫૨ કરોડની વસૂલાત કરી છે.