દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં ગોમતીઘાટથી દોઢ કિ.મી દુર આવેલી બાવળની ઝાડીઓમાંથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા પ્રેમી યુગલના મૃતદેહો મળી આવ્યાં છે. આશરે ૨૫થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા યુવાન અને યુવતીના મૃતદેહને કબ્જાે સંભાળી પોલીસે ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. એક બે દિવસ પૂર્વે આ યુગલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢી ઓળખવિધિ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકામાં ગોમતીઘાટથી ૧.૫ કિલોમીટર દુર આવેલા દરિયા કિનારે ભુરા દાદાના મંદિરની આગળ આવેલી બાવળની ઝાડીઓમાં સ્ત્રી અને પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની દ્વારકા તાલુકાના નુંન્વાભાઈ રબારીએ દ્વારકા પોલીસને જાણ કરી હતી. જેના આધારે દ્વારકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આશરે ૨૫થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા યુવાન અને યુવતીના મૃતદેહને કબ્જે કર્યા હતા. આ બંનેએ અગમ્ય કારણસર ઝેરી દવા પી અહીં આપઘાત કર્યો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે. પોલીસે બંનેના મૃતદેહને દ્વારકા હોસ્પિટલ ખસેડી ઓળખવિધિ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.