જૂનાગઢ-

દેશ અને દુનિયામાં પર્યાવરણમાં ફેરફારો જાેવા મળી રહ્યા છે અને વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. આ જળ વાયુ પરિવર્તનની અસરો ખૂબ મહત્વની છે. ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણમાં જે ફેરફાર થઈ રહ્યો છે, તેના કારણે આજે સૂકા પ્રદેશો પણ જળબંબાકાર નજરે પડે છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, તેથી ખેતીની દ્રષ્ટિએ વધુ વરસાદને બદલે યોગ્ય વરસાદ પડે તો જ ખેતીને ફાયદો થઈ શકે તેમ છે. તેથી આવનારા દિવસોમાં વરસાદની બદલાતી પેટર્નને લઈને કૃષિ પ્રણાલીમાં ફેરફાર કરવો પડે તો નવાઈ નહીં.

સૌરાષ્ટ્ર પંથક અને આમ તો સમગ્ર રાજ્યની જાે વાત કરીએ તો ચાલુ વર્ષે બમણો વરસાદ વરસ્યો છે. વરસાદ વધુ પડે એના કયાંક ફાયદા થતાં હોય છે, તો ક્્યાંક નુકશાન પણ થતું હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ૧૯૮૩ માં વરસાદે ભારે તારાજી સર્જી હતી. તે સમયે જૂનાગઢ જીલ્લામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને માત્ર ચાર વર્ષ પછી એટલે કે ૧૯૮૭ માં દુષ્કાળ પડ્યો હતો, ત્યારે જૂનાગઢ જીલ્લામાં માત્ર ૫.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો અને ચાલુ વર્ષે હજુ ચોમાસું વિધિવત ચાલુ છે, ત્યાં સુધીમાં ૬૫ ઈંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂકયો છે. આમ વરસાદની પેટર્ન બદલાતી જાેવા મળી રહી છે. હાલમાં પણ વરસાદ ચાલુ છે, સામાન્ય રીતે ભાદરવામાં તડકા પડતાં હોય પરંતુ હાલ તો વરસાદી માહોલ છે.

જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આગામી સમયમાં તેને અનુરૂપ યોજનાઓ પણ સરકારે પણ વિચારવી પડશે, હાલ જે વરસાદ થયો તે ૧૦૦ ટકાથી વધુ થયો. વરસાદ ૧૦૦ ટકા થાય એટલે આપણી પાણીની સંગ્રહશક્તિ પણ ૧૦૦ ટકા હોય તે જરૂરી નથી. વરસાદી પાણીનો સંપૂર્ણ સંગ્રહ પણ કર્યો હોય તો પણ ૧૦૦ ટકાથી વધુ વરસાદ થતાં અડધો અડઘ પાણી તો સમુદ્રમાં જતું રહે છે.