ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાગૃહમાં ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાપન મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવાથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબતનો સુધારા વિધેયક વર્ષ 2019માં પાસ કરવામાં આવ્યું હતું. હવે આ કાયદાને દેશના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. અશાંતધારા કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મંજૂરી આપી છે. જેના પરિણામે ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે અને નાગરિકોને શાંતિનો અહેસાસ થશે.

ગૃહમંત્રી એ ઉમેર્યું કે, રાજ્યના અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકતા આ કાયદાના અમલીકરણ થકી સ્થાવર મિલકતની ગેરકાયદેસર તબદીલીઓ પર નિયંત્રણ આવશે અને કાયદેસર માલિકોના હિતસંબંધોનું રક્ષણ થશે. આ અધિનિયમની જોગવાઇઓનો અસરકારક અમલ થાય, અશાંત જાહેર કરેલા વિસ્તારના રહીશોની મિલકતોની સુરક્ષા અને જાળવણી સુનિશ્ચિત થાય, સામાજિક સમરસતા જળવાઇ રહે, વિસ્તારના રહીશોની સુરક્ષા અને સલામતિની ભાવના જળવાઇ રહે તે માટે આ કાયદામાં કેટલીક જોગવાઇઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આ કાયદામાં થયેલા સુધારાથી મિલકતની વ્યાખ્યા વધુ સ્પષ્ટ થઇ છે.

મંત્રી એ ઉમેર્યું કે, રાજ્યના કોઇ વિસ્તારમાં હુલ્લડ અથવા ટોળાની હિંસકતાને કારણે તે વિસ્તારમાંની જાહેર વ્યવસ્થાને નોંધપાત્ર ખલેલ પહોંચી હોય તેવા વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવાની જોગવાઇ કરવામાં આવી છે. તે ઉપરાંત આ સુધારામાં જે તે વિસ્તારમાં એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ થઇ રહ્યું હોય અથવા થવાની શકયતા હોય જેને લીધે તે વિસ્તારમાં રહેતી જુદા જુદા સમુદાયની વ્યક્તિઓનું જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાવાની શકયતા હોય અથવા એક સમુદાયની વ્યક્તિઓના સમૂહમાં અંધાધૂંધી ફેલાવી શાંતિપૂર્વક સુમેળતામાં ખલેલ પહોંચતી હોય તેવા વિસ્તારને તથા તેની આસપાસના ૫૦૦ મીટર સુધીના વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવાની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આવા વિસ્તારને ચોક્કસ સમય માટે અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે જાહેરનામામાં પ્રસિઘ્ઘ કરવાની જોગવાઇ કરાઇ છે.

તેમણે ઉમેર્યું કે, કલેકટર ના નિર્ણયથી નારાજ થયેલા કોઇપણ નાગરિક રાજય સરકાર સમક્ષ અપીલ કરી શકશે તેવી પણ જોગવાઇ કરવામાં આવી છે. તથા એવા કેસો કે જેમાં અપીલ દાખલ કરવામાં આવેલ ન હોય તે સમયે રાજ્ય સરકાર સ્વમેળે અથવા રાજ્ય સરકારને અરજી મળ્યેથી જે-તે અશાંત વિસ્તારમાં આવેલ મિલકતની તબદીલીના કેસોમાં કરેલ હુકમોને રીવીઝનમાં લઈ કરવામાં આવેલ હુકમની કાયદેસરતા અથવા હુકમ કરવા માટે અપનાવવામાં આવેલ કાર્યરીતીની યથાર્થતા ચકાસી અને તબદીલીથી અસર પામેલ વ્યક્તિઓને સાંભળીને યોગ્ય લાગે તેવા હુકમો કરી શકશે. 

મંત્રી જાડેજાએ વધુમાં કહ્યું કે કાયદાના અસરકારક અમલીકરણ માટે કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક સજાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ગુનો સાબિત થાય તો ૩ થી ૫ વર્ષની સજા અને રૂપિયા એક લાખ અથવા મિલકતની જંત્રીની કિંમતના ૧૦ ટકા બે માંથી જે વધુ હોય તેટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા કાયદાના સુચારૂ અમલ અને દેખરેખ-સલાહ માટે એક દેખરેખ અને સલાહકાર સમિતિની રચના કરવાની જોગવાઇ કરાઇ હોવાનું જણાવી મંત્રી એ ઉમેર્યું કે આ સમિતિએ અશાંત વિસ્તારમાં સમયાંતરે લોકોનું યોગ્ય કલસ્ટર જળવાઇ રહે છે કે કેમ તેની ચકાસણી/મુલ્યાંકન કરવાનું રહેશે તેમજ આ કાયદાના અસરકારક અમલીકરણ માટે સમિતિ રાજ્ય સરકારને સલાહ પણ આપશે.