રાજપીપળા

અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદના બીજા દિવસનો પ્રારંભ મહાનુભાવોએ સંવિધાન દિનની ઉજવણી કરીને કર્યો હતો. વિવિધ રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદનું પ્રતિનિધિત્વ કરી રહેલા પદાધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્ર થયા હતા અને રાષ્ટ્રની એકતા-અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વ સમી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમક્ષ સંવિધાનના આમુખનું વાંચન કર્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ દિલ્હીથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. તેમણે આમુખનું વાંચન કરાવ્યું હતું. બંધારણીય રીતે કાર્ય કરવા સૌ સંકલ્પબંધ થયા હતા.

રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિડીઓ કોન્ફરન્સિંગ મારફત જોડાયા હતા અને તેમણે બંધારણના આમુખનું વાંચન કરાવ્યું હતું. જે અક્ષરસઃ નીચે મુજબ છે. “ અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો ર્નિણય કરીને તારીખ ૨૬મી નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.”

સ્ટેચ્યુ ઑફ યુનિટી નિહાળી મહેમાનો અભિભૂત

કેવડીયા ખાતે ચાલી રહેલી વિધાનસભા અધ્યક્ષોની ૮૦ મી અખિલ ભારતીય પરિષદના મહેમાનોએ આજે પ્રથમ સત્રની શરુઆત પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વંદના કરી હતી. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની પ્રતિમા નિહાળીને ભાવ અભિભૂત થયેલા મહેમાનોએ મુલાકાત પોથીમાં તેમના

પ્રતિભાવ લખ્યા હતા

• લોહપુરુષ, દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા, ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા માટે આપણા પ્રેરણાસ્ત્રોત સરદાર પટેલની પ્રતિમા આપણને નવી ઊર્જા અને નેતૃત્વની પ્રેરણા આપે છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આપણા નવા ભારતના નિર્માણની સંકલ્પના છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના અભિનવ વિચાર દ્વારા હંમેશા દ્રઢ ઇચ્છામાં આવી નવી ઊર્જા આપતા રહેશે અને આ સ્થળ હંમેશા સંવાદ કરતું રહેશે. • ઑમ બિરલા,અધ્યક્ષ, લોકસભા

• ભારતના પનોતા પુત્રની સૌથી વિરાટ પ્રતિમા આ સ્થળની મુલાકાત સરદાર સાહેબના મહાન વ્યક્તિત્વની સમજણને સરળ અને સચોટ બનાવે છે, તેને સાકાર કરનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દૂરંદેશી ભરેલી કલ્પના શક્તિને સલામ.

• પ્રહલાદ જોષી, કેન્દ્રીય મંત્રી, સંસદીય બાબતો

• પુષ્પો દ્વારા મહામાનવ સરદાર સાહેબને નમન કરું છું. વિશ્વની વિરાટ પ્રતિમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સમજવાની તક આપે છે.. અહીંની સુંદર વ્યવસ્થાઓ માટે સમગ્ર તંત્રને ધન્યવાદ

• અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય રા.મંત્રી, સંસદીય બાબતો

• હું સરદાર પટેલજીને વંદન કરું છું, તેમણે દેશની એકતા અને સેવા માટે જીવન સમર્પિત કર્યું.

• હિતેન્દ્રનાથ ગૌસ્વામી અધ્યક્ષ, આસામ વિધાનસભા

• સંવિધાન દિવસ પ્રસંગે મહાપુરુષ સરદાર સાહેબને વંદન. નવી પેઢી તેમના ઉદાત્ત જીવનમાંથી સદૈવ પ્રેરણા લેશે.

•ડો. સી.પી. જોષી અધ્યક્ષ, રાજસ્થાન વિધાનસભા

• ખૂબ જ સુંદર, મારાં સહસ્ત્ર નમન.

• રવિન્દ્રનાથ મહાતો અધ્યક્ષ, ઝારખંડ વિધાનસભા

• આ સ્ટેચ્યુ વિશ્વની આઠમી અજાયબી છે. યુવાનો માટે પ્રેરણાધામ છે આ સ્થળ.

• ગ્યાનચંદ ગુપ્તા અધ્યક્ષ, હરિયાણા વિધાનસભા