મુંબઈઃ

કરણ જોહરે થોડા સમય પહેલા જ્યારે ગાંધી જયંતિના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારે વચન આપ્યુ હતુ કે તે દેશની સભ્યતા, સંસ્કૃતિ અને ઈતિહાસને લઈ કોઈ સારા પ્રોજેક્ટ પર કામ કરશે. હવે કરણ જોહરે તેના પર મોટા પ્રોડક્શન હાઉસ સાથે હાથ મિલાવી એક મોટી યોજના બનાવી છે જે હેઠળ તે દેશની આઝાદીના ઈતિહાસ પર ઘણી ફિલ્મોની સિરીઝ બનાવવાની તૈયારીમાં છે. આ વાતની જાણકારી ખુદ કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.  

કરણ જોહરે જાહેરાત કરી છે કે ચેન્જ વિધિન પ્રોજેક્ટ હેઠળ એપિક સિરીઝ બનાવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ખુશીમાં આ ફિલ્મ બનાવવામાં આવશે. જેમાં દેશની વીરતા અને સફળતાઓનો ઉલ્લેખ હશે. કરૂણ જોહરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરતા લખ્યુ કે, મને તે જણાવતા ખુબ આનંદ થઈ રહ્યો છે કે હેશટેગ ચેંજવિધિન હેઠળ એપિક સિરીઝ દ્વારા અમે દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાની તૈયારીમાં છીએ. રાજકુમાર સંતોષી, દિનેશ વિજાન અને મહાવીર જૈન જેવા મિત્રોના સહયોગથી આ પ્રોજેક્ટ દ્વારા અમે દેશની આઝાદીના ગુણગાન કરીશું.  

ઇતિહાસ બચાવવા માટેની પહેલ 

મહત્વનું છે કે કરણ જોહર દ્વારા આ પોસ્ટ શે કર્યા બાદ સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે કરણ જોહર દ્વારા ઉઠાવવામાં આવેલું આ પગલું ખુબ પ્રશંસાપાત્ર છે અને આપણા દેશની સભ્યતા-સંસ્કૃતિને બચાવવામાં મદદગાર સાબિત થશે. તો કેટલાક લોકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ પણ કોઈ એજન્ડાનો ભાગ હોઈ શકે છે અને તેમાં ઈતિહાસની સાથે છેડછાડ કરવાની સંભાવનાઓ પર પણ યૂઝર્સે ચિંતા વ્યક્ત કરી છે. કરણ જોહરનો આ પ્રોજેક્ટ કેવો હશે તેના પર વિસ્તારથી જાણવા માટે હાલ બધાએ થોડી રાહ જોવી પડશે.