ભાવનગર-

કોરોના મહામારીથી હાલ સૌ કોઇ મુશ્કેલીમાં મુકાતા મહામારીનો વહેલી તકે અંત આવે તેવું સૌ કોઇ ઇચ્છી રહ્યાં છે. કોરોના વેક્સીનની શોધ પૂર્ણ થઇ હોવાના અહેવાલો મળી રહ્યાં છે ત્યારે તંત્ર પણ આ વેક્સીન લોકો સુધી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સપ્તાહ પૂર્વે ભાવનગરના બહુમાળી ભવન સ્થિત કોલ્ડ સ્ટોરેજ રૂમની સજ્જતા અંગે ખૂટતી જરૂરિયાતની પૂર્તતા કરાઇ હતી કેમ કે આ જ સેન્ટર પરથી પાંચ જિલ્લામાં કોરોના વેક્સીન પહોંચવાની છે.ભાવનગર સહિત અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ એમ પાંચ જિલ્લામાં વિતરણ કરવામાં આવનાર છે. મળતી માહિતી અનુસાર વેક્સીનને 2 થી 8 ડિગ્રીના કોલ્ડ સ્ટોરેજમાં રાખવી પડતી હોય છે. જ્યારે વેક્સીન કેટલી આવશે અને કેટલી ફાળવાશે તે અંગેની માહિતી હજુ સુધી મળી નથી. પરંતુ વેક્સીન આપવા માટેની સીરીન્ઝ તાજેતરમાં ભાવનગર ખાતે આવી પહોંચી છે. વેકસીન આવ્યા બાદ જિલ્લા પંચાયત તથા કોર્પોરેશન, સી.એચ.સી., પી.એચ.સી. સેન્ટરોને વિતરણ કરવામાં આવશે. જો કે, વિકસીનને લઈને આરોગ્ય કેન્દ્રો પર સર્વેની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.