અમદાવાદ-

મહાનગર પાલિકાની ચૂંટણીમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ગુજરાતની જનતા સાથે જનસંપર્કની શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ડો. કિશોર રૂપારેલીયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર વેતન નહીં લે. અને આ વેતનનો સદુપયોગ કરવામાં આવશે. ગરીબ બાળકો અભ્યાસથી વંચિત ના રહે એ માટે તેમના અભ્યાસમાં વેતન વાપરવામાં આવશે. અને આ માનદ વેતન નહિ લેવાનો નિર્ણય જનતાએ ખૂબ આવકાર્યો છે.

બીજી બાજુ મનોજ સોરઠીયા દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે, આમ આદમી પાર્ટી એક મોબાઈલ હેલ્પ લાઈન નંબરની સુવિધાની શરૂઆત કરશે. જનતાને પોતાના વોર્ડની કોઈ સમસ્યા હોય તો એનું નિરાકરણ આ હેલ્પ લાઈનથી મળી રહેશે. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પધાર્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીનો વિજય થતા કાર્યકરોને અભિનંદન આપવા અને જનતાનો આભાર વ્યક્ત કરવા માટે આજે એમનું આગમન થયું છે. કાર્યકરો સાથે વાર્તાલાપ કરશે. અને વરાછા કતારગામથી રોડ શો પણ કરશે. ત્યારબાદ સાંજે સરથાણામાં સભાને સંબોધશે.