અમદાવાદ-

કોરોના સંક્રમણના લીધે ઘણાં લાંબા સમય બાદ રેલ તંત્ર દ્વારા ઓખા-મુંબઇ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે ટિકીટનું બુકીંગ ૧૨ ઓકટોબરથી શરૂ થશે. મુસાફરોને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ટ્રેનના નિર્ધારીત સમય કરતા દોઢ કલાક પહેલા સ્ટેશન પર પહોંચવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

મુસાફરોની સુવિધા માટે ઓખાથી મુંબઇ સેન્ટ્રલ માટે ૧૭ ઓક્ટોબરથી અને મુંબઇ સેન્ટ્રલથી ઓખા સુધી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૦ થી વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ વિશેષ ટ્રેનો આગામી સુચના સુધી તેમના નિર્ધારિત દિવસો મુજબ કાર્યરત કરવામાં આવશે. 

ટ્રેન નંબર ૦૨૯૪૬ ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ઓખાથી દરરોજ ૧૭ ઓક્ટોબરથી બપોરે ૧૩.૧૦ વાગ્યે ઉપડશે, રાજકોટ તેજ દિવસે સાંજે ૧૭.૪૫ વાગ્યે અને બીજા દિવસે સવારે ૦૭.૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર ૦૨૯૪૫ મુંબઇ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ ટ્રેન ૧૫ ઓક્ટોબર, ૨૦૨૦ થી દરરોજ રાત્રે ૨૧.૩૫ વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે, બીજે દિવસે સવારે ૧૦.૧૮ વાગ્યે રાજકોટ અને ઓખા સાંજે ૧૫.૩૫ વાગ્યે પહોંચશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ હશે. 

ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે. જનરલ કોચમાં પણ આરક્ષણ રહેશે. કોરોના વૈશ્વિક રોગચાળાના આ યુગમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે. મુસાફરોને ભારત સરકારના હેલ્થ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમની ટ્રેનના નિર્ધારિત સમય થી ડોઢ કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવાની વિનંતી છે જેથી તેમને કોઈ અગવડતા ન પડે.