દિલ્હી-

સુપ્રીમ કોર્ટે કુરાનની આયાતો વિરૂદ્ધ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ આ અરજી દાખલ કરી હતી. તેમના કહેવા પ્રમાણે આ આયાતો વડે વિદ્યાર્થીઓને મિસગાઈડ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આરએફ નરીમનની અધ્યક્ષતાવાળી બેન્ચે સોમવારે આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે પોતાને તે એસએલપીના તમામ તથ્યો ખબર હોવાનું જણાવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે તે એસએલપી નહીં પણ રિટ છે તેમ કહીને તમે તમારી અરજી અંગે કેટલા ગંભીર છો તેવો સવાલ કર્યો હતો.

અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે, મદરેસાઓમાં આયાતો ભણાવવામાં આવે છે, વિદ્યાર્થીઓને તેનાથી મિસગાઈડ કરવામાં આવે છે, આ આયાતો ભણાવી અને સમજાવીને જ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે તેને પાયાવિહોણી અરજી ગણાવીને તેને ફગાવી દીધી હતી અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ આ અરજી દાખલ કરાવી હતી. તેમના કહેવા પ્રમાણે કુરાનની ૨૬ આયાતો આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે અને તેમને દૂર કરવી જાેઈએ જેથી આતંકવાદી ગતિવિધિઓ સાથે મુસ્લિમ સમુદાયનું નામ ન જાેડવામાં આવે.

વસીમ રિઝવીએ અરજી કરતા પહેલા સાવચેતીના ભાગરૂપે મૂળ સવાલ અને અરજીની પ્રતિ દેશના ૫૬ રજિસ્ટર્ડ ઈસ્લામિક સંગઠનો અને સંસ્થાઓને પોતાનું વલણ સ્પષ્ટ કરવા મોકલી આપી હતી.