અમદાવાદ-

હાલમાં કોરોનાની વણસતી હાલતને પગલે બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો સાથે જ કેટલાંક વાલીઓ દ્વારા પરીક્ષાનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. ધોરણ 10 બોર્ડની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને એસએસસી બોર્ડની પરીક્ષા સંદર્ભે પત્ર લખીને આ અંગે જાણ કરાઈ છે. એસએસસી બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થાય ત્યારબાદ 3 દિવસમાં શાળા કક્ષાએ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવા આદેશ કરાય છે.

આગામી મહિને 10 થી 25 મે દરમિયાન યોજાનાર છે. આવામાં અગાઉ શાળાના કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ પ્રેક્ટિકલ 15 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કરવાનું આયોજન હતું. ત્યારે હવે પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ બદલી દેવામાં આવી છે. એક તરફ બોર્ડ દ્વારા તારીખો બદલવામાં આવી છે. ત્યાં બીજી તરફ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત બન્યા છે. બોર્ડની પરીક્ષા આપવાની છે એવા કેટલાક વિદ્યાર્થીઓ સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે હાલની પરિસ્થિતિ જોતા સરકારે બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવી જોઈએ. સરકારે કેટલાક નિર્ણયો વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક અને અગાઉથી જ જાણ કરવા જોઈએ. દર વખતે અંતિમ ઘડીએ નિર્ણય લેવાથી અમારી તૈયારીમાં તેની અસર પડે છે. આખું વર્ષ અમે ઓનલાઈન ભણ્યા છીએ, એવામાં છેલ્લી ઘડીએ નિર્ણય સરકાર લે એ યોગ્ય નથી. સરકાર પરીક્ષા મોકૂફ રાખે એ જરૂરી છે, વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે અમે માનસિક તૈયાર નથી. અમે પરીક્ષા આપીશું, એ સમયે જો કોરોના થયો હોય તો સરકાર પછી શું વ્યવસ્થા કરશે એ અંગે પણ કોઈ ચોક્કસ રણનીતિ જાહેર નથી કરાઈ. અમારા માતા - પિતા પણ પરીક્ષાઓની તારીખ નજીક આવતા ચિંતિત બન્યા છે. અમારા વાલીઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે એવામાં પરીક્ષા પાછી ઠેલવાય એ જરૂરી છે. અમે પરીક્ષા આપીએ અને આસપાસમાં કોઈ કોરોના સંક્રમિત હોય તો તેનો અમને ખ્યાલ કેવી રીતે આવશે. અમે પરીક્ષા માટે તૈયાર છીએ, પણ કેસો ઘટે પછી લેવામાં આવે તો અમારા સૌ માટે સારો નિર્ણય કહેવાશે. બોર્ડની પરીક્ષા સિવાય હજુ 12 સાયન્સના પ્રેક્ટિકલ બાકી છે, એ અંગે સરકારે કઈ કહ્યું નથી. અમારે બોર્ડની પરીક્ષા પછી જેઈઈ કે નીટ જેવી પરીક્ષાઓ પણ આપવાની છે, તો આ તમામ પરીક્ષાઓ સ્થિતિ જોઈને લેવાય એ જરૂરી છે. બોર્ડ દ્વારા આ બધા પરીબળો પર પણ વિચાર થાય એ જરૂરી છે.