અમદાવાદ-

અમદાવાદ તેમજ ગુજરાતના સુરત શહેરના પાંડેસરા, ઉધના, ભેસ્તાન, સચીન અને અમરોલી વિસ્તારમાં લાખોની સંખ્યામાં ઓડિશાના લોકો રહે છે અને અહીં વિવિંગ ઉદ્યોગમાં નોકરી કરે છે, પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધતા ઉદ્યોગને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી ઓડિશાના શ્રમિકોની હાલત કફોડી બની છે. બંધના કારણે હવે આ શ્રમિકો રોજીરોટી ગુમાવી ચૂક્યા છે. હાલ તેમની પાસે કોઈ કામ નથી અને બીજી બાજુ મકાનમાલિકો તેમને મકાન ખાલી કરવા કહી રહ્યા છે.

સુરત ના અનેક વિસ્તારોમાં ઓડિશાના શ્રમિકો લાખોની સંખ્યામાં પોતાના વતન ચાલ્યા ગયા છે. અનેક મકાનોમાં તાળા લાગી ગયા છે. એક શ્રમિકની મહિનાની આવકની જો વાત કરવામાં આવે તો આવક 15,000 થી 20,000 હોય છે. જ્યારે અંદાજીત 1700થી 2000 રૂપિયા મકાનનું ભાડુ ચૂકવે છે. હાલની પરિસ્થિતિને જોતા તેમને વતન જવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાનો પગાર જ્યારે મળશે ત્યારે બાકીના શ્રમિકો પણ પોતાના વતન ચાલ્યા જશે. શ્રમિકો પલાયન ન કરે તે માટે સતત તેમને સમજાવી રહ્યા છે. પરંતુ હાલ કેટલાક મકાનમાલિકો શ્રમિકોને પોતાના વતન જવા માટે કહી રહ્યા છે. કારણ કે એક જ મકાનમાં 10થી વધુ લોકો રહે છે અને કોરોના સંક્રમણ ચેપ અન્યને લાગે તેવી સમસ્યા ઊભી થઈ શકે છે. જેથી તેમને મકાન ખાલી કરવા જણાવી રહ્યા છે.