અમદાવાદ-

ભગવાન શ્રીકૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાણીના અવતરણનો શુભ અને પવિત્ર દિન છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના પંદર દિવસના અંતરે શ્રી રાધાષ્ટમી ઉત્સવ આવે છે. વૃંદાવનની બધી ગોપીઓમાં રાધારાણીને મુખ્ય ગોપી તરીકે ખૂબ જ ભાવપૂર્વક પૂજવામાં આવે છે. રાધારાણી એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શુધ્ધ ભકિતનો સાર છે. કૃષ્ણભકિત દ્વારા ભકતો શ્રીમતી રાધારાણીની પૂજા કરે છે, પ્રાર્થના કરે છે અને બપોર સુધી ઉપવાસ રાખે છે.

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધા માધવને ભવ્ય પ્રકારના વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પોથી શણગારવામાં આવ્યા. શ્રી રાધા માધવના આશીર્વાદ મેળવવા ભકતો દ્વારા ખાસ સેવા અર્પણ થાય છે. 108 પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવ્યાં છે. આ ઉત્સવમાં ભકતો દ્વારા શ્રીમતી રાધારાણી માટે ભજન કિર્તન કરવામાં આવે છે, જયારે સાંજે મહાઅભિષેકમ્ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.


અમદાવાદના હરેકૃષ્ણ મુવમેન્ટના પ્રેસીડેન્ટ સ્વામી જગમોહન કૃષ્ણદાસ રાધાષ્ટમીનો મહિમા સમજાવતા જણાવ્યુ હતું કે , શ્રી રાધાષ્ટમી એ શ્રીમતી રાધારાણીના દિવ્ય પ્રાગટયનો મહાઉત્સવ છે. જેઓ મથુરા પાસે સ્થિત પવિત્ર ભૂમિ બરસાનામાં અવતર્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી પછી પંદર દિવસે તેમ જ ભાદરવા મહિનાના તેજસ્વી પખડવાડિયામાં શુક્લ પક્ષની આઠમના દિવસે શ્રીમતી રાધારાણીનો દિવ્ય પ્રાગટય શ્રી રાધાષ્ટમી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. કૃષ્ણભકતો માટે રાધાષ્ટમી પણ શ્રી જન્માષ્ટમી ઉત્સવ જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રીમતી રાધારાણી સમગ્ર બ્રહ્માંડ માટે માતા સમાન આદર ધરાવે છે અને આ પાવન દિવસે ભકતો ભગવાનશ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે શ્રીમતી રાધારાણીને પ્રાર્થના કરે છે. આજે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી રાધાષ્ટમી મહા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રાધાષ્ટમી મહા ઉત્સવની ઉજવણી દરમ્યાન સરકાર દ્વારા નિર્દિષ્ટ કોવીડ ગાઇડલાઇન્સનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું.