દિલ્હી-

દેશમાં આજકાલ આંદોલનની મોસમ જામી છે એક તરફ ખેડૂતો કૃષિ કાયદાને લઇને વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે આ તરફ દેશભરના ડોક્ટર્સ હવે સરકારને ઘેરવાના મૂડમાં છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, આવતીકાલે દેશભરના ૩ લાખ ડોકટર્સ હડતાળ પર ઉતરવાના છે. ઉલ્લેખનીય છે કે, આયુર્વેદિક તબીબને સર્જરીની મંજૂરી આપવામાં આવતા સરકારના નિર્ણયનો ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આ વિરોધ અંતર્ગત આજે મેડિકલ સેવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, આજે ભારતભરના ૩ લાખ ડોકટર્સ હડતાળ પાડવાના છે. જેમાં ગુજરાતના ૨૮ હજાર અને અમદાવાદના ૧૦ હજાર ડોક્ટરો પણ જોડાશે. ૧૧મી ડિસેમ્બરે ઇમરજન્સી અને કોવિડ ડ્યુટી સિવાય તમામ ઓપીડી બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે. ૮ ડિસેમ્બર એ તબીબોએ મર્યાદિત સંખ્યામાં અલગ-અલગ ડોકટર્સના જૂથ બનાવી બેનર્સ અને પ્લે કાર્ડ સાથે ડોકટર્સએ વિરોધ કર્યો હતો.

સેન્ટર કાઉન્સિલ ફોર ઇન્ડિયન મેડિસિન દ્વારા એક નોટિફિકેશન બહાર પડ્યું છે જેનો વિરોધ ડોકટર્સ કરી રહ્યા છે. આ નોટિફિકેશન અંતર્ગત અનુસ્નાતક કક્ષાના આર્યુવેદીક ડોકટર્સને ૫૮ પ્રકારની સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.આ સર્જરીમાં ડેન્ટલ, ઓર્થોપેડિક, ઇ એન્ડ ટી તેમજ જનરલ સર્જરીનો પણ સમાવેશ થાય છે. નેશનલ ઇન્ટિગ્રેટિડ મેડિકલ અસો.નિર્ણયને આવકાર્યો હતો પરંતુ ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુદ્દે આઈએમએ અને એનઆઈએમએછ આમને સામને આવ્યા છે અને આવતીકાલે ૩ લાખ ડોક્ટર્સ સરકારના આ નિર્ણયના વિરોધમાં હડતાળ પર ઉતરવાના છે.