અમદાવાદ, રાજ્યમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે નિમાયેલી કમિટી દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે કામગીરી શરૂ કરી દેવામા આવી છે. આવતીકાલ તા.૩ નવેે.ના રોજગાંધીનગરમાં બેઠક બોલાવવામા આવી છે જેમાં રાજ્યના છ જિલ્લાઓના પોલીસકર્મીઓના પ્રશ્નો પણ મગાવવામા આવ્યા છે. રાજ્યમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે આંદોલન થયા બાદ રાજ્ય સરકાર દ્વારા પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામા આવી છે. ત્યારે કમિટી દ્વારા ગાંધીનગરમાં ૩ તારીખે એક બેઠક બોલાવવામા આવી છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને એસઆરપીના કુલ ૪ જૂથના કર્મચારીઓ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે.સ્થાનિક અને રાજ્યકક્ષાએ રચાયેલી ફરિયાદ નિકાલ સમિતિના સભ્યો તરીકે નિમણૂક પામેલ હોય અને હાલ ફરજમાં ચાલુ હોય તેઓને આ બાબતની જાણ કરી, પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે તથા અન્ય લાભો મેળવવા માટે રજૂઆત હોય તો તેઓની રજૂઆતો ભેગી કરી તેની એક જ સંકલિત રજૂઆત લેખિત સ્વરૂપે મુદ્દાસર કમિટી સમક્ષ રજૂ કરવા જણાવવા તેમ જ તેઓને ૩ નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનારી કમિટીની બેઠકમાં હાજર રહે તે રીતે છુટા કરી મોકલી આપવા વિનંતી કરવામા આવી છે.