પાદરા

પાદરા-જંબુસર રોડ પર ડભાસા ગામની સીમમાં વ્રજ બેરિંગ કંપની સામે મિનિબસના ચાલકે મોટરસાઈકલ સવારને અડફેટે લેતાં તે ર૦ ફૂટ સુધી બસની સાથે ઢસડાયો હતો, જેના કારણે તેને માથાના ભાગે મિનિબસના પૈડાં ફરી વળતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

આ બનાવની જાણ પોલીસ મથકે કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિનિબસના ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતાં તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

પાદરાના વડુ ગામે સુકા આંબા સીમમાં રહેતા સોહિલ અનવરભાઈ સિંધા (ઉં.વ.ર૯) પાદરાના મહલી તલવાડી પાસે આવેલ દેવાસી કંપનીમાં નોકરી કરી પરત રાતના ૮.૩૦ પોતાના ઘરે જતો હતો તે દરમિયાન મિનિબસના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી બસના આગળના ભાગેથી મોટરસાઈકલને અડફેટમાં લીધો હતો. બાઈકસવારને ટક્કર વાગતાં તે રોડ ઉપર પટકાયો હતો અને બસના વ્હીલ નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં મૃતક સોહિલને સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે આ બનાવ સંદર્ભે મિનિબસના ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.