રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામ પાસે કરજણ નદીને મળતી પ્રશાખા લોકલ ખાડી (નાની નદી) પર ફિલ્ડ પ્રકારનો માટીનો બંધ તથા ઓગી પ્રકારનો વેસ્ટ વીયર બાંધવાનું સરકારે આયોજન કર્યું છે.પણ સરકારના આ આયોજન સામે સ્થાનિક લોકોને અસંતોષ પેદા થયો છે.
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા સ્થાનિકો પાસે પહોંચ્યા ત્યારે એમણે મનસુખભાઈ વસાવાને રજૂઆતો કરી હતી. ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર વિસ્તારના ખેડૂતોને સંતોષ નથી, આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે કે ખાડી (નાની નદી) નો પાણીનો પ્રવાહ જોતા માટીનો બંધ કે વેસ્ટ વિયરના સ્થાને મધ્યમ કક્ષાનો પાકો ડેમ બાંધવો જોઈએ.સરકારની આ સૂચિત યોજના ખુબ જ નાની છે.૧૯૮૮ થી ગંગાપુર ડેમ મોટો બને તેવી માંગણી થતી આવી છે.ગંગાપુર ગામે મળેલી મિટિંગમાં ખેડૂતોની માંગણી ડેમ મધ્યમ કક્ષાનો બને તથા તેમાં નર્મદાના ડેમનું પાણી નાખવામાં આવે, નર્મદા નદીનું પાણી કણજી, વાંદરી, માથાસરની આસપાસથી લિફ્ટ કરી અથવા પર્વતમાં બોગદુ પાડીને પીપલોદની ખાડીમાંથી કરજણ નદીમાં નાખી શકાય તેમ છે.આ નર્મદા ડેમનું પાણી કરજણ ડેમ તથા ગંગાપુર ડેમમાં નાખવામાં આવે તો ડેડીયાપાડા તાલુકાની ખેડૂતોના સિંચાઇ માટેની સમસ્યા કાયમને માટે ઉકેલાઈ તેવું ખેડૂતોનું માનવું છે.
ગંગાપુર, જામની, કેવડી, કાકરપાડા, કણબીપીઠા, આંબાવાડી, ડાભણ, ખોડાઆંબા, હરીપુરા ગામના ખેડૂતો તથા ડેડીયાપાડા તાલુકાના આગેવાનોએ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને એવી પણ રજૂઆતો કરી હતી કે અંતરિયાળ વિસ્તારમાં સિંચાઈ માટે પડતી મુશ્કેલીઓનું સરકાર વહેલી તકે નિરાકરણ લાવે.
Comments